પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
सासुवहुनी लढाई
 

કેડો છોડનાર નથી. એને કાંઈ ફાંદામાં લઈને વીખ દે, અથવા ખંજરથી એના પ્રાણ લે; પછી આપણે ઉદેપોર જઈ રહીએ.

જેસંઘના મનમાં પણ આવ્યું કે એવી અવસ્થામાં આવેલા આદમી ઘોર કર્મ કરતાં ડરતા નથી માટે તે કાસદથી વેગળો ને વેગળો રહેતો હતો. બે સિપાઈ પોતાના રક્ષણને પણ રાખ્યા હતા. છાનામાના એ બીના ત્યાંના રાજાને કાને જાય ને કાસદ ઓચિંતો પકડાઈ જાય એવી તજવીજ તે કરતો હતો.

મોટા શાહુકારો ઉપર એ ભલામણના કાગળ લાવ્યો હતો તેમને મળ્યો. તેમણે એને જણાવ્યું કે એ નગરનો રાજા નઠારો છે, ન્યાય એટલે શું તેનું તેને ભાન નથી, લોકને મારી ઝુડીને નાણું લેવું એટલું સમજે છે. કારભારીએ લાંચીઓ છે, જે વધારે પૈસા આપે તેનું કામ કરી આપે છે, તેથી એ કાસદ વધારે આપશે તો તારું કાંઈ નહીં ચાલે ને ઉલટો માર્યો જઈશ. એ સાંભળી નાઉમેદીથી બીચારા જેસંઘના નેત્રમાંથી દડદડ આંસુ પડ્યાં. એના બાપનો આડતીઓ હતો તેણે એને એક યુક્તિ બતાવી. તેણે કહ્યું રાજાએ હાલ એક ગુણકા રાખી છે. તેનું ચલણ છે; તેને જો તમે મળો તો કામ થાય.

એ ગુણકાને કેમ મળાય તેની તપાસ કરતાં માલમ પડ્યું કે તેને કવિતા ભણાવનાર એક કાણો કવિ નામે રૂદેરામ છે, ને તે કવિની પોળમાં રહે છે, ને તેની મારફતે ગુણકા સાથે મીલાપ થાય છે. જેસંઘ એ કવિને ઘેર ગયો. રૂદેરામે પોતાના રૂ ૫૦૦) ની પરઠણ કરી ગુણકાની મુલાકાત કરાવી આપી. જેસંગે ગુણકા આગળ પોતાની બધી વાત માંડીને કહી ને વિનંતી કરી કે રાજા એકદમ એ કાસદને ઓચિંતો પકડી લે ને એના ઘર પર ચોકી બેસાડે ને મારો બધો માલ, લુગડાં, ઝવેર, ને રોકડ મને અપાવે. ગુણકા કહે ઠીક છે એમ કરાવી આપું પણ પ્રથમ રોકડા એક હજાર લાવો, ને માલ હાથ આવે ત્યારે બીજા બે હજાર મને આપવા, ને પાંચ હજાર રાજાને આપવા કબુલ કરો, જેસંગે ઉત્તર દીધો કે હાલ મારી પાસે એક કોડીએ નથી, પણ મારો માલ પકડાશે તેમાંથી લેજો. ગુણકા કહે રૂ. ૫00 તો રાજાને અરજ કરતી વેળા મારે આપવા પડશે, ને બસે ત્રણસે આસપાસના માણસોમાં વેરવા જોઈએ. જેસંઘે કરગરીને કહ્યું બાઈસાહેબ મુજ ગરીબ પર દયા કરો, જે પહેલું ખરચ થાય તે આપ મારી વતી કરો, હું તે વાળી આપીશ, ને સો રૂપીઆ ઉપર આપીશ. ગુણકાએ તેમ કરવાની હા કહી. પછી જેસંઘ રોજ તેને ઘેર જાય.

આ વાતનો કાંઈક અણસારો કાસદના જાણવામાં આવ્યો હતો. તે