પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૨૧
 

જોને હજી ધ્રુજું છું. ટાઢ ઉપર તાવ કકડીને આવ્યો. માથું તેમ દુખે, પગ તેમ ચુંથાય, ને પાણીની તરસ તો કહે મારૂં કામ, ગળે ગળું મળી જાય. એમ કહેતી જાય ને આંખમાંથી આંસુ પાડતી જાય. હરિનંદ કહે રડે છે શાને છાની રહે માડી, હોય દેહ છે. મા કહે દીકરા હું આ દુખને નથી રોતી મારા કરમને રોઉં છું. આટલા આખા ઘરમાં મનીસ પણ આવી વખતે મને પાણી પાનાર સરખું કોઈ પાસે મળે નહીં, કમળી અળગી બેઠી છે. એ જઈને (પાડોશણ) ઈછાને બોલાવી લાવી તેણે આ દેગડી ભરી પાણી આપ્યું ત્યારે પીધું. તે બાપડી કેટલીબધી વાર મારી પાસે બેઠી; માંથુ ચાંપ્યું, ધુપેલ ઘસ્યું ને હમણાં જ ગઈ. થોડે દૂર કમળા બેઠી હતી તેની આંખમાંથી પણ ડળક ડળક આંસુ પડવા માંડ્યાં. હરિનંદે બેહેનને પૂછ્યું કે ભાભી ને એ બંને ક્યાં ગયાં. કમળા કહે એ બેનો એક સંપ છે. બીજાના ઘરમાં દેરાણી જેઠાણીને જરાએ ન બને, ને આપણે ઘેર એથી ઉલટું છે, ત્યારે માને આટલી વિપતી પડે છે. માટે આવી વેદના થાય છે તે નજરે જોય છે પણ પુછતાં નથી કે શું થયું છે. બપોરનાં બે જોડે ગયાં છે તે હજી આવ્યાં નથી. તારી વહુ લાલા કાકાને ટાંકેથી પાણી લાવવાને બહાને ગઈ છે, ને મોટી ભાભી તો પીએર ગઈ છે, એની મા માંદાં થયાં છે, શું કાંઈ એ રાંડ માંદી નથી. પીએરને નામે કોણ જાણે ક્યાં ભમતી હશે. મોટાભાઈ તો એને કાંઈ કહે નહીં, એટલે તે બાને શાની ગણગારે.

એવામાં વીજીઆનંદ આવ્યો, ને છપરખાટની સોડે માંચી હતી તે પર બેઠો. એનું મોહો ક્રોધાંત જોઈ પેલાં વાત કરતાં બંધ થઈ ગયાં. જરાવાર બેસી તે બોલ્યાં. “એ રાંડને મારી નાંખું, એ વાત શી મારા મનમાં કેટલાંક દહાડાથી શક હતો, પણ આજે મારી ખાતરી થઈ.”

કમળાએ જાણ્યું કે હું બોલી તે એણે બારણા પછાડીથી સાંભળ્યું તે પર ગુસ્સે થયો છે. તે ઉઠી ગભરાતી આઘી બેઠીકે રખેને મારે. હરિનંદને પણ તેવીજ ભ્રાંતી પડી, તેપરથી તેણે કહ્યું જુવોને બેન રજસ્વાળામાં છે, ને માને લોઢું ધીક્યું હોય તેવો તાવ આવ્યો છે, માથું મસ દુખે છે, તાંટીઆ ચુથાય છે, પણ ઘરમાં કોઈ મળે નહીં.

વીજીયાનંદ કહે શુંદરભાભી ક્યાં ગયાં છે તેની મને ખબર નથી, પણ એને તો મેં હમણાં જ પેલા ફકીરના તકિયામાંથી નિકળતી જોઈ. મારી સાસુ જોડે હતી. આપણે બ્રાહ્મણે મુસલમાનના ફકીરની પાસે કહેવું જવું. મેં સાંભળ્યું હતું કે એ ત્યાં જાય છે, પણ મારે મોઢે નામુકર જતી હતી તે આજ પકડી;