પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૬ ઠું.

તારાને તેના વરે સારો ઉપદેશ કર્યો હતો તેથી તે ડાહી અને સદ્ગણી હતી. તેણે વાઘ થવાની ના કહી. ચંદા કહે થયા વિના ચાલે નહિ, સહુ થાય છે ને તું શા સારૂ ન થાય ? જેને મન હોય તેને એ દહાડો ન આવે, અને તને આ શુભ દિવસ આવ્યો છે ત્યારે તું ના કહે છે. મારું કહ્યું માનવું પડશે. મારા સમ જો ન માને. એ મારા દહોડડાહ્યા બનેવીની સીખામણ હશે; રવીનારાયણને (તારાના વરને) મળી હા કહેવડાવું પછી કાંઈ હરકત છે. તારાએ (લાજથી) નીચું જોઈ કહ્યું મેતો પુછ્યુંએ નથી; મારું પોતાનું મત છે કે એ જંગલી ચાલ છે. ગુંગલાઈ મરવું તે નાદાન વના બીજા કોને ગમે. એમ બે બેની વાતો કરતાં હતાં તેવામાં તેમની મા આવી તેણે ચંદાની તરફની ટાપસી પુરી.

તારાએ રાત્રે પોતાના ધણીની આગળ એ વાત કરી; રવીનારાયણ કહે તમારી બેન તો હોંસલી, રસીલી, અને રંગીલી છે. જો એની હોંસ સારા કામમાં લાગે તો સારાં ફળ થાય અને એનામાં સદાચર્ણ હોય તો એનો રંગ રસ વખાણાત અને શોભત. તારા કહે એને બચારીને દહાડા રહેતા નથી તેથી ફાંફા મારે છે, નહિતો એ બાપડી બહુ રૂડી છે. એમ બોલતાં તેની આંખો ભરાઈ આવી. રવીનારાયણ કહે એને સદઉપદેશ મળ્યો હોત તો એનું મન સંતોષી ને સુખી રહેત. કાલે મારી પાસે આવશે ત્યારે હું એની જોડ રૂડા જ્ઞાનની વાત કરીશ. તારા કહે ના હવણાં આ ચાર દિવસ જવાદો. એ વાત કહાડશો તો એનું મન ખેદ પામશે; એનો જીવ દુભાય તેવું કહેવાનો આ પ્રસંગ નથી. રવીનારાયણ કહે ખરૂં વળી બીજો લાગ આવશે ત્યારે બોધ કરીશ. મારી મતલબ એને લાભ કરવાની છે, સંતાપ કરવાની નથી. તને વાઘ કરવાને તારી માબેન અને સગાં વાહાલાં હઠ કરે તો બધાનું મન દુખવીશ નહિ એ મારી ખાનગી સીખામણ છે. એ બધાની ખાતરે ચાર ઘડી પીડા સેહેવી, શું કરીએ લાચાર. સદવિચારના માણસની સંખ્યા વધશે ત્યારે મુર્ખા મુર્ખીઓનું જોર નહિ ચાલે, ને એવી નઠારી રસમો નીકળી જશે.

બીજે દહાડે બપોરે તારાને તેડવાને મસે ચંદા આવી, અને રવીનારાયણ જોડે વાત કરવા બેઠી. તેણીએ કહ્યું દવેજી, તમે મારી તારા બેનને ખુબ સુધારી દોધી દેખુંતો. પણ દુનીઆમાં રહેવું માટે દુનીઆની રીત કરવી પડે.

દવે – સુધરશે તો સુખી થશે. સારી રૂઢી હોય તે રાખવી, એમાં વાંધો શો છે?