મૂળના રસને હાનિ પહોંચી છે. આમ બનવાથી કેટલીક વખત અનુવાદમાં જે પાત્રની ઉક્તિમાં એમ થયું છે તેની પાત્રતાને પ્રતિકૂળ થઇ ઘણી જ હાનિ કરે છે. મૂળ ગ્રંથના બંગાળી ટીકાકાર ઉપર વધારે ભરોંસો રાખવાથી અનુવાદકે ઘણી બાબતમાં છક્કડ ખાધી છે. અને અમુક શબ્દને પદ્યમાં અમુક જ યોગ્ય સ્થળે મુકવો જોઇએ તેમ ન કરવાથી અર્થનું ગૌરવ અમુક અમુક જગાએ જતું રહ્યું છે. તોપણ એકંદર રીતે જોતાં ભાષાન્તરકારે આપેલું પ્રતિબિંબ મૂળને અનુસરતું પડ્યું છે એ નિસંદેહ છે. કેટલેક સ્થળે એમાં મોટી ખામીઓ આવી જઈ મૂળની પાત્રતા વગેરેની ક્ષતિ થઈ છે; તેનાં ઉદાહરણો સ્થળ સંકોચની બ્હીકે અમે આપતા નથી. માત્ર એક સામાન્ય ટીકા અહીં કરીએ છિયે કે મણિલાલે પાત્રને સૂચનની નાટ્યોક્તિયોનો અર્થ કરવામાં કેટલેક સ્થળે ચુક કરવાને લીધે તે તે ઠેકાણાના ભાવને પ્રતિકૂળતા આણી છે. એવી અક્કેક શબ્દની ભૂલથી મૂળ ભાવ અને રસને હાનિ પહોંચે છે. શબ્દાર્થ વિષેનો અમારો મત એ જ છે કે જ્યાં સુધી મૂળ ગ્રંથના ગૌરવાદિકને હાનિ નથી પહોંચતી ત્યાં સુધી મૂળનો અર્થ કોઇ અંશમાં ભિન્ન દેખાડાયો હોય તો ચિંતા નહિ. પછી તેટલો અંશ ખોટો તે ખરો તો ના જ કહેવાય. પણ સંસ્કૃત અને ગુજરાતીમાં શબ્દ શક્તિ કાંઇ સરખી જ નથી. આ ભાષાન્તરમાં ઘણાક શ્લોક યમક રહિત છે. પરંતુ યમક રહિત કાવ્ય માત્ર એટલા જ કારણથી અમને અરૂચિકર નથી. આપણામાં કેટલાંક જૂનાં ગીત યમક રહિત છે તે આજ સુધી કોઇના શ્રવણને ઉદ્વેગ કરતાં નથી. લાંબા ચરણવાળા અને સંસ્કૃત ઢબના શ્લોક યમક રહિત હોય તો તે શ્રવણને અરૂચિકર લાગતા નથી. પણ કેટલીક જગાએ ઘણાભાગમાં યમક રાખીને પછી તરત યમક છોડી દીધો છે તેવી જગાએ કર્ણને ઉદ્વેગ થાય છે. વળી યમક રહિત કવિતાઓ કરીને મળેલી છૂટનો લાભ મૂળનો અર્થ વધારે સારી રીતે દર્શાવવામાં લેઇ શકાય તે લાભ ભાષાન્તરકર્ત્તાએ કેટલેક ઠેકાણે ખોયો છે. પદ્ય એકંદર રીતે આ ભાષાન્તરમાં શ્રવણને મધુર લાગે તેવું જ છે. તથાપિ કેટલેક સ્થળે તેમાં સ્હેજ દોષ આવતો હશે. પદ્યની મધુરતાના સંબંધમાં આ ભાષાન્તરમાં કેટલેક સ્થળે