સર્વાનુભવ કવિત્વમય કરી દીધું છે; અને ભાષામાં એક આદરણીય પુસ્તકનો વધારો કર્યો છે. શ્રી નારાયણે બંગાળીમાંશ્રી 'પુરૂવિક્રમ’ નામે બીજા નાટકનો અનુવાદ પણ કર્યો છે.
મહા કવિ વિશાખદત્તની 'મુદ્રા રાક્ષસ’ના સાક્ષર કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કરેલા અનુવાદની ખાસ નોંધ લેવી જોઈએ. નંદ વંશનો નાશ થઈને મૌર્ય વંશની સ્થાપના થયાનું ચમત્કારી ચિત્ર આપતું આ નાટકનું વસ્તુ કેવળ ઐતિહાસિક છે. પાત્રનિરૂપણ અને સંવિધાનચાતુર્યને માટે આ નાટક સંસ્કૃત ભાષામાં પણ અદ્વિતીય જ છે. રા. ધ્રુવ એક સારા સાહિત્યવેત્તા છે અને એમણે એ શાસ્ત્ર ઉપર બહુ પરિશ્રમ કરીને 'ગીત ગોવિન્દ', 'અમરૂશતક', 'ઘટકર્પર' અને મુદ્રારાક્ષસ વગેરેનાં ભાષાંતર કરીને ભાષાની સ્મૃદ્ધિમાં કિંમતી વધારો કર્યો છે, એટલું જ નહિ પણ પોતાના સહૃદયપણાનો ગુજરાતી વાંચકોને પરિચય દર્શાવી આપ્યો છે. આ નાટક ઉપર એમની ટીકા અલૌકિક છે. અમુક ગ્રંથમાં અમુક લોકોત્તર ચમત્કારવાળું વસ્તુ હોય તેને સમર્થન કરવા માટે રહસ્યને સ્ફુટ કરવું એ કામ સાધારણ બુદ્ધિથી બની શકતું નથી. કેટલાક ટીકાકારો માત્ર ઉપર ઉપરની બાબતો વિશે જ વિવેચન કરીને પોતાનું કર્ત્તવ્ય કર્યું માને છે, અને ચિંત્ય અને સંદિગ્ધ સ્થાનોની ઉપેક્ષા જ કરે છે. એવાને માટે હાસ્યમાં કહેવામાં આવે છે તેમ श्रीधर स्वामीकोभी शंका पड गइ' એમ બને છે ! પરંતુ વિદ્વાન ટીકાકારો ચિંત્યસ્થાનોને શોધ કરીને અને તેનું સ્પષ્ટિકરણ કરીને ગ્રંથના ગૈારવમાં ઓર વધારો કરે છે. આવા ટીકાકારો ઉત્તમ પંક્તિના છે; અને એઓ ઉત્તમ ટીકાકારના માનને પાત્ર થયા છે. એમની ટીકા એવી સવિસ્તર અને સપ્રમાણ છે કે તેની આગળ કલકત્તાની સંસ્કૃત ટીકાવાળી અને સ્વ. જસ્ટીસ તેલંગવાળી આવૃત્તિઓ ગૌણ થઈ ગઈ છે. પાઠાંતર નક્કી કરવામાં તો એમના પ્રયાસની પરિસીમા જ છે. ગ્રંથના રહસ્ય અને પાઠાંતર સંબંધે સારી મીમાંસા કરીને મૂળપદ પદાર્થનો ભાવ દર્શાવતાં આસપાસનાં પ્રમાણો આપીને તેને બહુ જ વિદ્વત્તાભરી રીતિયે સ્ફુટ કર્યો છે. તેમ જ ઘણા કાળ થયાં ફરી ગયેલા પાઠોના અસલ પાઠ સિદ્ધ