છે ( જે વાતમાં અજબ તરેહનું, હરખનું, શોકનું જેવું હોય તેવું વાંચે છે. ) પણ બીજાથી તે રીતે વંચાતુ નથી. અને વલી રાત દાહાડાના વાંચનાર મતલબ જેવી બરાબર સમજે છે તેવી બીજા શમજતા નથી, ને તેથી કઈક ફેરો તેઓ વાતનું વરેડુ કરે છે.'
'બીજો નફો એકે જે લોકો વર્ત્તમાંનપત્ર અને ચોપાનીઆં મેળવીને વાંચે છે તે લોકો સુધ લખવાનું ઘણું કરીને બરાબર જાણે છે અને ઝડપથી પણ લખે છે. અને શબ્દના અરથ બરાબર થાએ તેવા લખે છે; અને કેવો શબ્દ કીએ ઠેકાણે લખવો જોઈએ ત્યાંહાં તે લખે છે ને બોલવો જોઈએ ત્યાંહાં બોલે છે, તેમ બીજા લોકો હેવું કાંઈ કરવાને શકતા નથી. વાંચનારા જુદી જુદી ઢબનું વાંચવાનું તથા લખવાનું જાણે છે ને તેની મતલબ ઝટ સમજે છે ને તેમના વીચાર સારા હોય છે.'
ઈ. સ. ૧૮૬૦ માં છપાયલી બત્રીશ પૂતળીની વાર્ત્તામાંની 'ગોટકાની વાર્ત્તા' નું મુખપૃષ્ટ તે વખતની સ્થિતિનું આપણને ભાન કરાવે છે:—
દોહરા તથા ચોપાઈથી સામળ કવીની કીધેલી છે. આ પ્રાંતના લોકોની બુધી તથા ચતુરાઈ વધે તેને વાસ્તે લલુભાઈ અમીચંદે પોતાના છાપખાનામાં છાપી છે. અમદાવાદ સને ૧૮૬૦ સંવત ૧૯૧૬.”
આ લલ્લુભાઈ અમે ઉપર કહેલા બાજીભાઈના ભાઈ થતા અને તેમની પેઠે એમણે પણ છાપખાનું કાઢ્યું હતું.
આવા સાહિત્યથી પ્રજાની ભૂખ ભાગે એમ નહતું. જૂના કવિયોનાં કાવ્ય એકઠાં કરવાં, તેને કેવી રીતે ઉતારી લેવાં, કેવી રીતે જુદાં જુદાં લિખિત પુસ્તકોમાંથી મેળવીને તેનો સારોદ્ધાર કરીને છપાવવાં વગેરે સૂચના ઓ. મી. ફોર્બ્સે શરૂઆતમાં જ પોતાના ભાષણમાં આપી હતી. કેટલાંક વર્ષ બાદ જૂના કવિયોનાં કાવ્ય સારા રૂપમાં લોકોના વાંચવામાં આવે એવા સ્તુત્ય હેતુથી સરકારે કવીશ્વર દલપતરામ પાસે 'કાવ્યદોહન' નામનું પુસ્તક લખાવ્યું. એ પુસ્તક એમણે ઈ. સ. ૧૮૬૧ માં પૂરૂં તૈયાર કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એઓ લખે છે કે:—