મુદતમાં આ કાવ્યદોહનનો ઉઠાવ થઈ ગયો હતો. આ પુસ્તક લોકોમાં ઘણું પસંદ પડ્યું હતું અને એની ઘણી આવૃત્તિઓ થઈ હતી.
આ પછી સન ૧૮૬૫ માં સરકારે કવીશ્વર પાસે 'કાવ્યદોહન' નું બીજું પુસ્તક પ્રગટ કરાવ્યું. સરકારની ખાસ સુચનાથી આ પુસ્તકમાં ઝાઝા કવિની કવિતા લીધી નથી. જે જે સારા લાગ્યા તેવા કવિયોની સારી સારી કવિતા લીધી છે. તેમ જે જે લીધી છે તે સંપૂર્ણ લીધી છે. અધુરો વિષય લેવાની અને ગરબીઓ લેવાની સરકારે ખાસ ના કહી હતી. આ પુસ્તકમાં નરસિંહ મહેતાનાં પરચુરણ પદો, પ્રેમાનંદ કવિનું 'નરસિંહ મહેતાનું મામેરૂં', 'સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન' વગેરે લીધાં છે. અખાની જૂદા જુદા વિષયની કવિતા, સામળભટની બત્રીસપૂતળીની, સુડાબોતેરીની અને બીજી વાતોમાંથી દૃષ્ટાંત દેવા લાયક જોઈને પાંચસેં છપ્પા તારવીને લીધા છે.
‘કાવ્યદોહન' સંબંધી કાંઈ ચરચા ઉઠી હશે એમ જણાય છે. શું થયું હતું તે અમને યાદ નથી પણ કવીશ્વરે બીજા પુસ્તકની પ્રસ્તાવનામાં સહજ ઇસારો કર્યો છે તે ઉપરથી કાંઈ અનુમાન થાય છે. તેઓ કહે છે કે “કોઇને શેલડી મીઠી લાગે છે, અને કોઇને દરાખ મીઠી લાગે છે; તેમજ કેટલાએક કેવી કવિતા પસંદ કરતા હશે અને બીજા જૂદી તરેહની પસંદ કરતા હશે. પણ મારી બુદ્ધિ પ્રમાણે મને જે સારી લાગી તે આ પુસ્તકમાં મેં લીધી છે. માટે જેને આ કરતાં સારી કવિતાનું પુસ્તક તૈયાર કરવાની મરજી હશે તે હવે ત્રીજું પુસ્તક તૈયાર કરશે. પછી ચેાથુ વળી હું કરીશ ! "
બીજું પુસ્તક તૈયાર કરતાં શા ધોરણે કામ કર્યું હતું તે સમજાવતાં તેઓ કહે છે કે “ હરેક કવિતાની ત્રણ ત્રણ પ્રત્યો જુદી જુદી મગાવીને, તેના રાગ બેસારીને, એના તાળમાં વધતા ઘટતા અક્ષરો લખનારાઓએ કરી નાંખેલા તે સુધારતાં બહુ મહેનત પડી છે. વળી એક પ્રત્ય બીજી પ્રત્યને મળતી આવતી નથી. અને ઘણી અશુદ્ધ થઇ ગએલી, તે સુધારતાં બહુ મહેનત પડે છે.આ પુસ્તકમાં લીધેલી કેટલીએક કવિતાઓ, મુંબાઇમાં,