અને અમદાવાદમાં છાપખાનાવાળાઓએ છાપેલી છે, પણ ઘણી અશુદ્ધિને લીધે લોકો બરાબર વાંચી કે સમજી શકતા નથી; તેથી તેઓને પૂરો રસ લાગતો નથી. અને સુધારીને છાપવાથી 'કાવ્યદોહન' નું પહેલું પુસ્તક લોકોને કેવું પસંદ પડ્યું ? તે ટૂંકી મુદતમાં તેની વધારે ખપત ઉપરથી માલુમ પડે છે. મારી તો ખાતરી છે કે પહેલા પુસ્તક કરતાં આ બીજુ પુસ્તક સરસ થયું છે. ” પ્રથમ પુસ્તકમાં આવી ગયેલા કવિયોમાંથી ત્રણ ચારની અને બે નવા જૈન કવિની કવિતા આ પુસ્તકમાં લીધી હતી.
આ 'કાવ્યદોહનો' ની ભાષા વિષે બે બોલ બોલવાનું ઉપલબ્ધ થાય છે. કવીશ્વર પોતેજ બીજા પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે કે એ કવિતાઓ એમણે સુધારીને છાપી છે. તેમજ પહેલા પુસ્તકની પ્રસ્તાવનામાં સહેજ ઇસારો કરે છે કે ચારસેં વર્ષ ઉપરના અને આ વખતના ગુજરાતીના કવિયોની ભાષામાં કાંઇ વધારે ફેરફાર થએલો નથી. કેટલાક કહે છે તેમ પોતે ફેરફાર કરીને પોતાની ભાષા જૂની ભાષા તરીકે ગણાય એમ એમણે કર્યું હોય એ અમે માનતા નથી. તેની સાથે એમના કહેવા પ્રમાણે–કાવ્યદોહનમાં છપાયલી ભાષામાં હાલની ભાષા કરતાં કાંઇ ઝાઝો ફેરફાર જણાતો પણ નથી. ચારસેં વર્ષ ઉપરની અને હાલની ભાષામાં ફેર ન પડે એ સંભાવ્ય નથી. ચારસેં વર્ષ સુધી બોલાતી ભાષામાં કશો વિકાર ન થાય એ કોઈ પણ ભાષાશાસ્ત્રી કબૂલ રાખશે નહિ. તેમજ કવીશ્વરના વખત પછી મળેલા જૂના ગ્રંથો ઉપરથી એ વાત પ્રતિપાદન થઈ ગઈ છે.
અમને તો એમ લાગે છે કે કવીશ્વરે જુના લખાયલા જુના ગ્રંથો મેળવીને કવિતા છાપી નથી. એટલે એમને લોકોમાં પ્રચલિત હોય એવીજ−બીજી રીતે બોલીએ તો−ફેરફાર થયેલીજ−કવિતા મળી છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં લોકોમાં એટલાં ગવાય છે કે તેની ભાષા તો આજથી સો બસેં વર્ષ પછી પણ જોનારને પોતાના કાળની ભાષા જેવીજ લાગશે. 'કાવ્યદોહન' ઉપર સ્હેજ નજર નાંખવાથી અમારા કહેવાનું સત્ય દૃષ્ટિગોચર થશે. લોકોમાં ગવાતી ન હોય એવી અને પાછી જુના કાળમાં ઉતારાયલી–લખાયલી કવિતાની વાત જૂદી છે. ભાષામાં ફેર પડ્યો નથી એ