છતાં પણ પ્રસિદ્ધ થયેલાં મેઘદૂતનાં બધાં ભાષાન્તરોમાં સ્વ. નવલરામનું ભાષાન્તર શ્રેષ્ઠ છે એ નિર્વિવાદિત છે.
સ્વ. બાળાશંકરે ‘સૌંદર્ય લહરી’ નું સુંદર ભાષાન્તર કર્યું છે. એ પુસ્તકમાં ‘ટીકાકારોએ આ કવિતાને અડવું નહિ’ એવી સૂચના કરીને કેટલીક રસિક, ભાવવાળી અને માર્મિક કવિતા દાખલ કરી છે.
આ વિષય સમેટતાં સંસ્કૃતમાંથી રા. કેશવલાલ ધ્રુવે કરેલાં કેટલાંક ભાષાન્તરો વિશે બોલવાનું પ્રાપ્ત થાય છે. એમનું કરેલું ‘ગીતગોવિંદ’ નું ભાષાન્તર ગુજરાતીમાં થયેલાં ભાષાન્તરોમાં શ્રેષ્ટ પદવી ધરાવે છે. આ ગ્રંથની બે આવૃત્તિઓ થઇ ગઇ છે. નવી આવૃત્તિને રા. કેશવલાલે મૂળની છાયા તરીકે વર્ણવી છે. ગ્રંથના વર્ણનમાં કરેલ આ ફેરફાર અત્યંત અર્થ ગાંભીર્યવાળો છે. સંસ્કૃતપદ્યનું ભાષાન્તર કરવું અત્યંત દુર્ઘટ છે. તેમાં પણ ‘ગીતગોવિદ’ જેવા સમાસમય પદ્યનું મધુર અને સરળ ગુજરાતીમાં ભાષાન્તર રચવામાં દુર્ઘટતાની પરિસીમા છે. આ વસ્તુ સ્થિતિને માન આપવા માટે રા. કેશવલાલે આ ગ્રંથને છાયા ગ્રંથ કહ્યો હોય તો તે સંભવિત છે. પણ અમને એ એમનો વિનય જ લાગે છે. ગીતગોવિંદનો રસસ્વાદ, ગુજરાતી ભાષામાં આપવાનો એમનો પ્રયન અસાધારણ રીતે સફળ થયો છે. એમના ગીતગોવિંદમાં મૂળ ગ્રંથના ગૌરવનું યથાર્થ ભાન આપણને થઈ શકે છે. શુદ્ધ, સરળ, અને રસમય ગુજરાતીમાં વર્ણવેલું આ ‘ગીતગોવિંદ’ સ્વતઃ મનોહર છે; એટલું જ નહિ પણ એની મનોહરતા મૂળને પણ કંટક અંશમાં અર્પે છે. સંસ્કૃતના આરૂઢ અભ્યાસીને પણ મૂળ ગીતગોવિંદ જેટલું સરળ ન લાગે તેટલું રા. કેશવલાલનું ગુજરાતીમાં પાડેલું ગ્રંથનું પ્રતિબિંબ મનોહર અને રસપ્રદ છે. ગીતગોવિંદ જેવાં કઠણ ગ્રંથની આ છાયા આટલી લોકપ્રિયતા સંપાદન કરી શકી છે તેનું કારણ રા. કેશવલાલની વાણીનો ‘પ્રસાદ’ છે. રા. કેશવલાલને પોતાના ભાષાન્તર–છાયા ગ્રંથમાં–પ્રસાદ લાવવાને જે શ્રમ અને વિવેક વાપરવો પડ્યો હશે તેનો ખ્યાલ આપવો અત્યંત કઠણ છે. જેમ જેમ તેમની ‘છાયા’ માં આપણે ઉંડા ઉતરીએ છઈએ તેમ તેમ મૂળની સાથે સરખામણી કરવાની ઈચ્છા સહજ થાય છે, અને તેમ તેમ તેમનો