શ્રમ અને વિવેક ઉત્તરોત્તર વધારે ને વધારે સમજી શકાય છે. આ બધા શ્રમ અને વિવેકની પાછળ રહેલી અસાધારણ શક્તિ માટે રા. કેશવલાલને ધન્યવાદ આપવો જ પડે છે. બીજી આવૃત્તિમાં પ્રથમમાં કરેલા ફેરફાર ઉપર વિવેચન બુદ્ધિથી જોતાં રા. કેશવલાલની કાવ્ય પરીક્ષાની શક્તિને માટે પણ આપણો વિચાર ઉંચી કોટીએ પહોંચે છે. સંસ્કૃત કવિતાનાં ગુજરાતી કવિતામાં ભાષાન્તરની સફળતા એ સંસ્કૃતનું પરિપૂર્ણ જ્ઞાન, ગુજરાતી ઉપર પૂર્ણ અમલ, અને કાવ્ય પરીક્ષાના ઘણા ઝીણા પ્રશ્નોનું મનોહારી સમાધાન કરવાની શક્તિની પરિસીમા સૂચવે છે; અને રા. કેશવલાલની પરિસીમાએ પહોંચેલી અનેકવિધ શક્તિ જ તેમના ભાષાન્તરને ગુજરાતીમાં શ્રેષ્ટ ભાષાન્તરની ૫દ્વિ અપાવે છે. સ્વ. મણિલાલ નભુભાઈના શબ્દોમાં કહીએ તો ‘આવું રસિક અને યથાર્થ ભાષાન્તર અન્ય કોઈ વિદ્વાનથી ન થઈ શક્ત.'
એ જ વિદ્વાનનું બીજુ ભાષાન્તર શંકર સ્વામી જેવા પરમ વેદાંતિને નામે ચઢી ગયેલું ‘અમરૂશતક’ છે. દક્ષિણાત્ય સુવર્ણકાર અમરૂ કવિની ખ્યાતિ સંસ્કૃત સાહિત્યમાં જગજાહેર છે. જો કે એ કવિનું કોઈ સર્ગબદ્ધ કાવ્ય હોય એમ જણાયું નથી, પરંતુ છૂટા છૂટા શ્લોક–મુક્તકને જ લીધે એની અપૂર્વ કીર્ત્તિ છે. એનો અક્કેકો શ્લોક–અક્કેક પ્રબંધ જે છે એમ સંસ્કૃતમાં કહેવાય છે. ‘अमरुकवे रेक: प्रबन्धशतायते’ ખરેખર, આ ઉક્તિ અતિશયોક્તિ નથી. એની બાનીમાં શ્રી જયદેવ જેવું લાલિત્ય નથી એ ખરૂં પણ એનો રસ, ધ્વનિ એને આવી ઉચ્ચ પદ્ધિ અપાવે છે. આવા રસિક કવિના શુંગાર મુકુટમણિ જેવા શતકનું ભાષાન્તર રા. કેશવલાલ જેવા સંસ્કૃતનું ઉત્તમ જ્ઞાન ધરાવનારા અને કાવ્ય ચમત્કાર સમજવા ઉપજાવવાની ઉત્તમ રસિકતાવાળા સાક્ષરને હાથે થાય એ પરમ સંતોષ પામવા જેવું છે. પ્રારંભમાં જ ‘विना पूर्व कविके हृदयसे हृदय मिलाये अनुवाद करना शुद्ध झखमारना ही नहीं, कविका लोकांतर स्थित आत्माको नरक कष्ट देनाहै' એવી ભારતેંદુ શ્રી હરિશ્ચંદ્રની ઉક્તિને પોતાના સૂત્રરૂપે લેઈ રા. જવેરીલાલથી માંડીને અત્યારસુધીના ભાષાન્તરકાર