રાખતા ત્યારે એથી ઉલટું નર્મદાશંકર પોતાને લાગે તે બેધડક–કડવું, ઝેર જેવું હોય તોપણ–સખ્ત વાણીમાં કહેતા. સુધારો તો બન્નેને ઈષ્ટ હતો; બન્ને બોધ તો નીતિનો જ કરતા; વ્હેમ વિદારણા બન્નેના મનમાં રૂચતી; ધર્મ ભોળાં થવાનું કોઈને ગમતું નહોતું; દેશદ્રોહી થવું અને પરતંત્રતાની ઝૂંસરી વ્હેવાનું બન્નેને ના પસંદ હતું. આ પ્રમાણે એક જ પ્રદેશમાં ઘુમતી છતાં તેમની કવિતા જૂદી હતી. આ બન્ને કવિયો વર્ત્તનમાં, વિચારમાં, સ્વભાવમાં અને ટુંકામાં બધી બાબતોમાં સ્વભાવતઃ ઉલટા જ હતા. દલપતરામની કવિતા પૂર્વે થઈ ગયેલા વૃજ કવિયોની કવિતા જેવી હતી, ભાષા એમને સાધ્ય અને વશવર્ત્તિની હોવાથી એમની કવિતા સરળ*[૧] છતાં ઝડઝમકવાળી, અલંકારોથી ભરપૂર અને વાંચનારના હૃદયમાં ઝટ પ્રવેશ કરે એવી હતી અને એમ હોવાથી સચોટ અસર કરતી; અને વધારે લોકપ્રિય થતી. ઝડઝમક લાવવાનો કોડ તો નર્મદને પણ હતો. એક મિત્રની કહેલી વાત અમને સાંભરે છે કે દલપતરામની પેઠે ખૂબ પ્રાસ અને ઝડઝમક લાવવાની આતુરતાથી એક વખત ક થી હ સુધીના અક્ષર જૂદા લખીને તેના કાડી, ખાડી, ગાડી, ઘાડી, ચાડી, છાડી, જાડી, એ પ્રમાણે શબ્દ બનાવીને તેને આણીને–વાપરીને-એક કવિતા બનાવી હતી ! જે મિત્રે અમને આ વાત કહી હતી તે કવિના મંડળમાં રોજ બેસનાર અને કવિતા સાંભળનાર હતા. ઉક્ત કવિતા મિત્રોની આગળ વાંચી, અને તેના ઉપર મિત્રમંડળમાં ટીકા થવાથી કવિયે એ કવિતાની નીચે ‘નિશામાં લખેલી’ એવી ટીકા લખવાનું ઠેરવ્યું ! આ નમુનેદાર કવિતા કુતુહલની ખાતર જોવી હોય તો નર્મ કવિતામાં પ્રીતિ સંબંધી પ્રકરણમાં છપાએલી છે અને ‘એવી કેવી તે આગ લગાડી’ એ લીંટીથી શરૂ થાય છે ! વગર પ્રયાસે જ્યાં સ્વાભાવિક કવિતા સ્ફુરી આવી છે ત્યાં પ્રાસ વગેરે દીપી નીકળી કવિતા સરળ અને રસમય બની છે. દાખલો જોવો હોય તો એજ પ્રકરણમાં એમની ‘સલામ રે દિલદાર’
- ↑ અમને વૃદ્ધ કવીશ્વરે એક વખત કહેલી વાત યાદ આવે છે કે પોતે નવી કવિતા લખીને તે સરળ સમજાય એવી થઇ છે કે નહિ તે તપાસવાને મહોલ્લાની સ્ત્રીઓને સંભળાવતા અને તેમને ન સમજાય તે ફેરવતા.