એકલા દોષ શોધવા ન જ જોઇએ. સાહિત્યના નિયમોથી કવિતાને તપાસતાં તો મમ્મટને સંસ્કૃત સાહિત્યમાંથી પણ અનેક દોષ મળી આવ્યા છે, તો ગુજરાતી સાહિત્ય દોષ રહિત ક્યાંથી હોય ? વળી સાહિત્યના ઠરાવેલા નિયમોથી કવિતા કરવા બેસે તો તો કોઇ કવિ જ ન થાય; મમ્મટને પોતાને માટે કોઇ એમ કહે છે કે, મુહૂર્ત ચિંતામણિનો કર્તા જેમ લગ્નને અભાવે કુંવારો રહ્યો હતો, તેમ દોષ દૃષ્ટિને લીધે તેનાથી કવિતા જ થઈ શકી ન હોતી. સુમન ગુચ્છમાં ભાષા ઘણી ખરી મિશ્ર લાગે છે. કવિયે વર્ણવેલી વસ્તુ કોઈ કાળે પણ અરમણીય હોય નહિ અને જ્યારે જ્યારે વાંચીએ ત્યારે ત્યારે તેમાં કાંઈ નવિનતા જ જણાય. કવિ ચુંબિત વિષય મધુર સર્વાંગ સુંદર હોવો જોઈએ અને એમાં ભાષા તથા ઔચિત્ય વિચાર આદિ યથાર્થ સચવાયલાં રહેવાં જોઈએ. જ્યાં આમ ન થયું તે ઉત્તમ કવિતા કહેવાય જ નહિ. સુમન ગુચ્છમાં ઉચ્ચ પ્રતિના ગદ્ય પદ્ય લેખમાં યોજવાને યોગ્ય ન લાગે એવા ગ્રામ્ય શબ્દોનો ઉપયોગ થયો જણાય છે. શૃંગારમાં જરા વધારે શિષ્ટજન સીમાનું ઉલ્લંઘન થયું છે. ટુંકામાં કામ વિષયક રચના હોવાથી શૃંગાર લગાર ઉતરતી પ્રતિનો જણાય છે. આમ હોવા છતાં રા. પંડ્યાના ઉક્ત ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં સારો ઉમેરો કરે છે અને એમની કવિતા લોકપ્રિય થાય એવી, લોકને પરિચિત લાગે તેવી, સહેલી અને સરળ છે.
કવિ નર્મદાશંકરનાં ઘણાં ખરાં કાવ્ય ઇંગ્રેજી કાવ્યો ઉપરથી સ્ફુરેલા છે. અંગ્રેજી કવિયોની ખુબી ઉતારવામાં, તેમ જ વાર્તા શૈલીમાં એ કવિને વિજય મળ્યો નથી. એમની 'કુમુદચંદ્ર પ્રેમપત્રિકા' લીટનના ફોકલંડ એન્ડ ઝીસીની ઢબનું નાનું ગદ્યપદ્યાત્મક પુસ્તક છે. એમાંનો કેટલોક ભાગ તેમજ પ્રીતિ સંબંધી કેટલીક કવિતાને માટે અમે અહીં લખી શકતા નથી. એમની 'લલિતા,' 'સાહસ દેશાઈ,' 'વજી' અને ડોન જુઆનના ધોરણ ઉપર લખવા ધારેલું વીરકાવ્ય 'રૂદનરસિક' વાંચવાથી વાર્તાશૈલીમાં એમની નિષ્ફળતાને માટે અમારા કહેવાનો સાક્ષાત્કાર થશે. પ્રેમ, દેશભક્તિ, અગર વ્હેમખંડન ગમે તે વિષય હશે પણ એમનાં તદ્વિષયે લખાયલાં સંગીતો