“ગુર્જરભાષા જ્યારથી લિખાતી થઈ ત્યારથી તે દેવનાગરી લિપિમાં જ લખાતી હતી, અને સ્તોત્ર પાઠાદિ–સુધર્મનિરત સ્ત્રીવર્ગ પણ તેથી સુપરિચિત હતો. પરંતુ અલ્પ જ્ઞાનથી સંતુષ્ટ રહેનાર પ્રાકૃત વર્ગમાં જેમ ભાષાનાં વ્યાકરણ, શબ્દકોશ, હૃસ્વાદિ ભેદ, સંયુક્તાક્ષર આદિ અંગો પણ અલ્પિત થઈ લઘુભાવ તથા ભ્રષ્ટતા પામતાં ગયાં તેમ લિપિ પણ હીનવિકાર પામતી ગઈ. જ્યારે ગુજરાતીની બે મોટી સહોદરા ભાષાઓ–હિંદી તથા મરાઠી–ના ગ્રંથો એજ બાલબોધ લિપિમાં મુદ્રાપિતા થાય છે, ત્યારે એ ત્રણે સહોદરા ભાષામાં શબ્દરૂપ પ્રાણ સમાન છે અને વિભકત્યાદિ અંગમાં ભેદ છતાં તેઓનો કૌટુંબિક સંબંધ દૃશ્યમાણ અને અનુભૂત છે, ત્યારે–લિપિરૂપ વૈધર્મ્ય જે નિરક્ષરો દ્વારા અલ્પકાળથી પ્રવિષ્ટ થયું છે તેને દૂર કરી મૂલાગત નિકટ સંબંધિત્વ પ્રકાશવું એ જ સાક્ષરોને ઘટિત છે અત્ર કિં બહુના ? જે ઇંગ્લિશ લિપિમાં એકજ શબ્દ ચાર અત્યન્ત ભિન્નરૂપની લિપિમાં નયનગોચર થાય છે–તથા જેનાં ઉપાંગભૂત છવીસ અક્ષરોને એકસો ચાર રૂપે જાણવા પ્રયત્ન કરવો ગલે પતિત થાય છે તે જાણવા પારસી મુસલમાન અને આર્યવર્ગને શ્રમ પડતો નથી તો ગુજરાતીની પ્રાય:સમાનકારા અને શાસ્ત્રીયા એવી બાલબોધ લિપિનું જ્ઞાન સંપાદન કરવામાં કોઇને યત્કિંચિત્ પણ શ્રમ નથી કે ‘કંટાળો’ ન આવવો જોઈએ એ એકજ વિચારથી હાસ્યોત્પાદકતર્કોર્મિલો દેવનાગરી લિપિ વિરોધીઓ અલં અપહૃસ્તિત છે.”
શલી સંબંધી વિચાર કરતાં એક બીજી વાત લક્ષમાં રાખવા જેવી જણાય છે. ‘અંધેરી નગરી અને ગર્ધવસેન’ લખનારા વિદ્વાને ભાષાને છેક તળપદી કરવાનો પ્રયોગ કર્યો હતો ! એથી ઉલટું સંસ્કૃત શિખેલા હાલના લેખકો ભાષાને સંસ્કૃતમયી કરવા પ્રયાસ કરે છે. ‘સંસ્કૃતમયી’ ગુજરાતી ઘણા જૂના કાળથી ટીકાનો વિષય છે. ‘કુંજ વિહાર’ ની મનોહર રચના કરનાર અમારા ઇષ્ટ મિત્ર સ્વ. હ. હ. ધ્રુવની ભાષા એક કાળે કેવળ સંસ્કૃતમયી હતી. ‘ચિત્ર દર્શન’ નામના એમના એક કાવ્યનાં છૂટે મોંએ વખાણ કર્યા પછી સ્વ. નવલરામે ‘સંસ્કૃતમયી’ ગુજરાતી ઉપર એક લેખ લખ્યો હતો. અમારા મિત્રે પોતાની ભાષા તરત જ બદલી નાંખી