નથી, કે તેથી વાંચનાર કાળની અટકળ પણ કરી શકે. દેશકાળ વગરની આ વાર્ત્તા ‘ઉટંગ' જ છે. ગર્ધવસેન ખરેખરો ગધેડો અને નગરી ખરેખરી અંધેરી જ છે. પાત્રના ઉપર ગ્રંથકારનું કાંઈ પણ લક્ષ જણાતું નથી. પુસ્તકમાં લખેલી મૂળ વાત છેક અસંભવિત છે, એમ તો રજવાડાથી કોઈ વાકેફગાર હશે તે કહી શકશે નહિ, પણ દુનિયાનું સઘળું નઠારું એક ઠેકાણે બતાવ્યું છે. આ પ્રમાણે દુનિયામાં ન હોય અથવા ક્વચિત જ હોય એવા જ દુર્ગુણમય આ સૃષ્ટિને વર્ણવવાથી આ પુસ્તક આસુરી કાવ્યની પંક્તિમાં આવે છે; અને નિંદ્ય ઠરે છે. દુર્ગુણનાં રસભર્યા ચિત્રોથી ( પરિણામે દુઃખ વર્ણવ્યું હોય તોપણ ) જુવાન માણસોના મન ઉપર નઠારી અસર થાય છે, અને પ્રૌઢ બુદ્ધિવાળાને તો એ ચિત્ર રૂચતાં જ નથી. ઇંગ્રેજીમાં આ કોટીનો લખનાર રેનલ્ડ છે. આ પુસ્તકની સરખામણી રેનલ્ડ જોડે માત્ર આ એક જ બાબત–વસ્તુ–ને લઈને જ થાય. બાકી રેનલ્ડની અદ્ભુત ચિત્રણશક્તિ અને પાત્રભેદજ્ઞાનને ઠેકાણે અહિંયાં તો શુન્ય જ છે. મૂળ વાતમાં ગર્ધવસેનને છેક ગધેડો જન્માવવા કરતાં માણસ રાખ્યો હોત તો ફાયદો થાત. જો રાજવર્ગને બોધ કરવાની ઈચ્છા રાખી હશે તે તો ફળીભૂત થવાની જ નહિ. તેઓ તો પુસ્તકનું નામ સાંભળીને જ ચીડાશે અને અમારી નકામી નિંદા કરી છે એમ સમજશે.
કરણઘેલાથી મોહ પામીને એ ધાટીપર લખાયલી બે ત્રણ નવલકથાઓમાં સર્વોપરી સ્થાનને યોગ્ય રા. અનંતપ્રસાદની ‘રાણકદેવી' છે. વર્ણનશૈલી લગભગ કરણઘેલા જેવી પણ કલ્પનાજનિત રસ કાંઈ ઓછો, બોધ પણ ઘણો છતાં ઉંડાણ ઓછું. સંહાર પ્રકરણોમાં સારો રસ હોઈ આ પુસ્તક વાંચવા લાયક બન્યું છે.
ઐતિહાસિક વસ્તુ અને સ્વકલ્પિત કલ્પનાના મિશ્રણવાળી, રા. મણિલાલ છબારામની ‘પૃથુરાજ ચોહાણ અને ચંદ બરદાયી’ અને ‘ઝાંસીની રાણી’ બે સારી નવલકથાઓ છે. પહેલીનું શબ્દશઃ હિંદુસ્થાનીમાં ભાષાન્તર થયું છે. ગુજરાતીમાં પણ સહજ ફેરફાર કરી પોતાનું નામ ઘાલી બીજાએ છપાવી કાઢી છે, એ એની લોકપ્રિયતા બતાવે છે. ભાષા શુદ્ધ