પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
ગદ્ય ગ્રન્થો.

 ઓળખવું. ઈ. ઈ.' આવી આવી ટુંકી નોંધ પોતે ઉતારી લેતા. એઓ પોતે કારકુનો–લખનારા રાખતા. આ લોકો એમની નોંધ ઉપરથી પોતે પોતાની ભાષામાં વાત ઉપજાવી કાઢતા ! મી. ખબરદાર જેવા શુદ્ધ ગુજરાતી લખનારની ભાષામાં પણ જન્મના સંસ્કારી ગુજરાતી જેવી શુદ્ધતા ન આવતાં લખનાર બીજી જાતના છે એ જણાઈ આવે છે. પરંતુ આ પુસ્તકોની ભાષા શુદ્ધ ગુજરાતી હોઈને તેમાં પારસીસાઇનો સહજ ગંધ પણ નથી એનું કારણ અમારા વાંચનારા હવે જાણી શકશે. એમાંની કેટલીક વાતો જાણીતા ગુજરાતી લખનાર સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલની છે. ગ્રંથકર્ત્તાને ગુજરાતી લખે એવો કારકુન જોઈતો હોવાથી અમારો એક ઓળખાણવાળો ઉમેદવાર તરીકે ગયો હતો. એની નોંધ ઉપરથી વાત લખી કાઢવાની શક્તિની પરીક્ષા કરવા એમણે એને આપેલી એક નોંધ ઉપરથી અમે પોતે પણ એક વાત લખી આપી હતી. આ વાત બીજા કે ત્રીજા ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. આ ગ્રંથોની ભાષા આ પ્રમાણે જૂદા જૂદા હિંદુ લખનારાઓની છે. લક્ષપૂર્વક વાંચવાથી જૂદી જૂદી કલમથી લખાયલી વાર્ત્તાઓ જૂદી જણાઈ આવે એમ છે. ગમે તેમ હો પણ ભાષામાં આ પુસ્તક બહુ આદરણીય વધારો છે.

દિવસે દિવસે ઇંગ્રેજી કેળવણીના વધારાથી ઈંગ્રેજી નવલકથાનો ભંડાર વાંચનારાની દૃષ્ટિએ પડ્યો અને એવી કથાઓના પાયા ઉપર ગુજરાતીમાં નવલકથાઓ લખવાનું વળણ સાધારણ રીતે થયું. કરણઘેલો, સાસુવહુની લડાઈ, કુમુદા–સુરતમાં એક કાયસ્થ ગૃહસ્થે પ્રકટ કરેલી નાની પણ મઝાની વાર્ત્તા–વગેરે પુસ્તકોથી ઉત્તેજીત થઈ નવલકથા લખવા તરફ લોકોનું ધ્યાન ખેંચાયું. એકવાર એ તરફ લક્ષ ગયા પછી સારાં, સામાન્ય અને નઠારાં એમ ઘણાં પુસ્તકો બહાર પડ્યાં. મર્હૂમ ગીરધરલાલ દયાળદાસે 'રાસોલાસ’ નું ભાષાન્તર કર્યું અને 'નવી પ્રજા' નામની નવલકથા લખી. ભરૂચમાં કોઈએ 'ત્રણરત્ન' નામની નાની પણ રસિલી ચોપડી મરાઠી ઉપરથી તે અરસામાં લખી હતી. નવલકથા તરફ વૃત્તિ દોરાવાથી નાટક લખવાનું ચેટક મંદ પડ્યું. નાટકને બદલે ઠેર ઠેર બધાંની ચોટ નવલકથા ઉપર થઈ નાટકના સાહિત્ય કરતાં નવલકથાનું સાહિત્ય ઘણું જ વધી ગયું. પોતાના