થાંભલો આવ્યોરે ભાઈ’ કહીને કરેલી ચેતવણીને, કાંઈ જોવા જેવું આવ્યું જાણીને જોવાનું ડોકું બહાર કાઢનાર ગામડીઆને માથામાં વાગતાં એના મોંમાંથી ઝરેલાં ફુલ દરેક વાંચનારને હસાવ્યા વગર રહે જ નહિ ! આ કોટીનાં પુસ્તકોમાં શ્રેષ્ટ આ પુસ્તકમાંની કેટલીક વાતો વાંચનારને પેટ પકડીને હસાવે એવી છે. કૌતક સંગ્રહના અનુસરણ રૂ૫ ‘કૌતક માળા અને બોધ વચન’ નામે પુસ્તક લિમડીના એક વાણીઆ ગૃહસ્થે પ્રસિદ્ધ કર્યું હતું. પણ વાણીઆ અને પારસીના ટિખળી સ્વભાવમાં જેટલો અંતર હોય એટલો અંતર આ બન્ને પુસ્તકોમાં છે. આર્યસમાજીસ્ટો તરફથી ‘સ્વર્ગમાં સબજેક્ટસ્ કમિટિ નામની નાની ચોપડી બહુ રમુજી, અને હિંદુ દેવોનું પાદરીઓ કરે છે એવા ઉપહાસથી ભરેલી છે. કેટલાંક ઇંગ્રેજી વર્ત્તમાન પત્રોમાં રમુજી ટુચકા નિયમિત આપવામાં આવે છે. બહુધા આવા ટુચકાનાં ભાષાન્તરવાળું ‘હસાહસ’ નામનું ચોપાનીયું પણ નીકળ્યું હતું.
હ્યુમર–પરિહાસના સાહિત્યનો ઉદય મૂળ ગ્રીક ભાષામાં થયો હતો. લેટીન ભાષામાં એ સાહિત્ય વધારે ખિલ્યું હતું. ઇંગ્રેજીમાં સ્વિફ્ટ, સ્ટીલ, ગોલ્ડસ્મિથ, સર્વેન્ટિસ્, થાકરે અને ડિકન્સ વગેરે ઘણા સમર્થ લખનારા એવું સાહિત્ય લખી ગયા છે પરંતુ સર્વોપરી પદ તો એડીસનનું જ છે. કોઈ પણ અત્યાચારને, દુરાચારને કે રીતરસમને સુધારવાના હેતુથી તેનું હાસ્યોત્પાદક રીતે વર્ણન કરતાં તેની અસર સચોટ થાય છે. આમ કરવામાં જેનો પરિહાસ કરતા હોઈએ તેની તરફ દયા ભાવના તેમ જ તેને સુધારવાનો ઉચ્ચ આશય મનમાં હોવો જ જોઈએ. માંહોમાંહેના દ્વેષ, વૈર વગેરે લાગણીઓ ભળવાથી એવું સાહિત્ય ઉતરતી પંક્તિનું બને છે, નિરસ થાય છે અને પરિણામે એવું સાહિત્ય જ અપ્રિય થઈ પડે છે. લખનાર પોતાના હૃદયની વૈર આદિ બધી લાગણીઓ કાંઈ બધા વાંચનારના હૃદયમાં ઉત્પન્ન કરી શકતો નથી.
આપણી ભાષામાં પરિહાસના સાહિત્યની ખોટ છે અને એવું સાહિત્ય ઉપજાવવાના હેતુથી ‘ભદ્રંભદ્ર’ નામે પુસ્તક લખાયું હતું. પરંતુ તેમાં એ આશય સાંગોપાંગ સચવાયો હોય એમ જણાતું નથી. અમને તો