(૨) ઇતિહાસ.
દરેક પ્રજાની ઉન્નતિને સારૂ તે પ્રજામાં ઈતિહાસના સાહિત્યની અગત્ય છે. દૂનિયામાં મોટી મોટી પ્રજાઓ કેઈ હતી, તેમનો ઉદય કેવી રીતે થયો અને ચઢતીની ટોચે પહોંચ્યા પછી તેમની પડતી કેવી રીતે અને શાશા કારણોને લઈને થઈ વગેરે જ્ઞાન દરેક પ્રજાને અને તેથી વ્યક્તિમાત્રને હોવું જ જોઈએ. હતભાગ્યે આપણા લોકોમાં ઈતિહાસના ખરા સાહિત્યનો જન્મજ થયો નથી એ ખરેખર શોચનીય છે.
સાઠીની શરૂવાતના પ્રવૃત્તિના પ્રારંભમાં બીજી બાબતોની પેઠે આ સાહિત્ય તરફ પણ લક્ષ દોરાયું દેખાય છે. સૌથી પ્રથમ સન ૧૮૪૮ માં હિંદ રાજસ્થાન નામથી બ્રિટિશ હિંદુસ્થાનનો ઈતિહાસ પ્રગટ થયા પછી સન ૧૮૫૨ માં બાળગંગાધર શાસ્ત્રી–જેમના હાથથી શરૂવાતમાં કેળવણીનાં ઘણાંખરાં પુસ્તકો લખાયાં હતાં–એમણે લખેલા ગ્રંથનું ‘હિંદુસ્થાનનો ઈતિહાસ’ એ નામે સ્વ. રણછોડદાસ ગીરધરભાઇએ ભાષાન્તર કર્યું હતું. આ પુસ્તક પણ બ્રિટિશ હિંદુસ્તાનનોજ ઈતિહાસ આપે છે. સન ૧૮૬૨ માં સ્વ. વિશ્વનાથ નારાયણ મંડળીકે એલ્ફીન્સટનના લખેલા ઈતિહાસમાંથી હિંદુ અને મુસલમાની સમયનું ભાષાન્તર કર્યું હતું. ઈ. સ. ૧૮૭૧ માં નિશાળોમાં ચલાવવા સારૂ મોરીસના ઈતિહાસનું ભાષાન્તર કેળવણીખાતા તરફથી સ્વ. છોટાલાલ સેવકરામે કર્યું હતું. આ પુસ્તક પણ માત્ર બ્રિટિશ હિંદુસ્થાનના જ ઈતિહાસનું હતું. એના મુખપૃષ્ટ ઉપર મુકેલા સૂત્ર 'Try us by our Own actions' થી જ આખા ઈતિહાસનો સાર સમજાઈ જાય છે; છતાં રસભરી ભાષા અને છટાદાર વર્ણનો વડે આ ઈતિહાસ મનોરંજક લાગે છે. સન ૧૮૭૫ સુધીમાં એની ચાર આવૃત્તિઓ થઈ ગઈ હતી અને તે નિશાળો-બ્રાંચસ્કુલોમાં શિખવાતો હતો. ઇંગ્રેજીમાં લેથબ્રીજનો હિંદુસ્થાનનો ઈતિહાસ લખાયો અને એનો અનુવાદ કેળવણી ખાતા સારૂ સ્વ. મહીપતરામે કર્યો ત્યારથી મોરીસનો ઇતિહાસ શિખવાતો બંધ થઈને આ ‘ભરતખંડનો ઈતિહાસ' શિખવાવા લાગ્યો. સન ૧૮૮૦ માં આ ઈતિહાસની બીજી આવૃત્તિ નીકળી હતી