(૫) પ્રવાસ–ભોમીયા–પંચાંગ:—
સામળભટની ઘણી વારતાઓમાં તો આપણે વાંચીએ છીએ કે ફલાણા શેઠનો દિકરો વેપાર અર્થે દેશાવર ગયો. માલથી ભરેલાં વહાણની હારો—દરિયાની મુસાફરી–પરદેશમાં મળતો લાભ–નવો માલ ભરેલાં વહાણ લઈને પાછું આવવું, એ બધું શામળ ઠેકાણે ઠેકાણે વર્ણવે છે. આ બધું શામળની કલ્પનામાં જ જન્મ્યું હોય, એમ જણાય છે. સમુદ્રપર્યટણની પૃથા એટલી બધી હોય તો સામળ પોતે પોતાના લખાણમાં ક્ષિપ્રા નદીમાં મોટાં વહાણ છિપાવવાની ભૂલ ન જ કરે ! વળી બસેં અઢીસેં વર્ષમાં આપણી પ્રજામાંથી પ્રવાસન મોહ આટલો બધો ઉતરીએ ન જાય. ગમે તેમ હો પણ હાલ તો આપણી પ્રજામાં મુસાફરીનો મોહ બિલકુલ દેખાતો નથી. સૃષ્ટિસૌંદર્ય નિરખવા અને લોકોની રીતરસમ જોવાને પ્રવાસ કરનાર આપણી પ્રજામાં ભાગ્યે જ જણાયા છે. આવા લોકોને પ્રવાસનાં વર્ણન વાંચવાની ઉત્કંઠા પણ શાની જ થાય ? તેથી જ આપણામાં પ્રવાસ સંબંધી કોઈ જૂનું પુસ્તક જણાતું નથી. બેશક ધર્મનિમિત્તે યાત્રા કરનારા તો ઘણા હતા. પ્રતિ વર્ષે અંબાજી, કાશી, જગન્નાથ, ગોકુળ મથુરા, નાશકત્ર્યંબક વગેરે જાત્રાનાં સ્થળે તો હજારો માણસ જતાં હશે. પણ કોઈએ એવી જાત્રાનું વર્ણન લખ્યું જાણ્યું નથી. તેમ જ જાત્રાએ જઈ આવનાર કોઈને મોઢે અમે જાત્રામાં જોએલા કુદરતી સૌંદર્યનું વર્ણન સાંભળ્યું નથી. અમુક જગામાં પંડ્યાનો અને અમુક જગાએ ગોરનો જુલમ, અમુક જગાનો ગોર હાથીએ બેશીને માગવા આવે છે, અમુક જગાએ આવા હિંડોળા થાય છે તો અમુક જગાએ આવી ફુલવાડી ભરાય છે. એ સિવાય જાત્રાળુઓ બીજું જોઈ આવ્યા જણાતા નથી. પ્રવાસનાં જૂનાં પુસ્તકો ગુજરાતીમાં નહોતાં અને સ્વ. કરસનદાસ મૂળજીએ પોતાની ઈંગ્લાંડની મુસાફરી સંબંધે સન ૧૮૬૬ માં પોતાનું પુસ્તક લખ્યું ત્યાં સુધી ગુજરાતીમાં પ્રવાસનું એક્કે પુસ્તક નહોતું. એ વર્ષમાં એમણે ‘ઇંગ્લંડમાં પ્રવાસ’ એ નામે મોટું અને સુંદર પુસ્તક ભાષાના ભંડોળમાં ઉમેર્યું. એ એક વાંચવા લાયક ગ્રંથ છે. ઇંગ્લંડના મનોહર સ્થળનાં મઝા પડે એવાં વર્ણન કર્યાં છે, સમજૂત