ન મળેલો એવા સાહસિક મુસલમાન વેપારી પૃથ્વિ પ્રદક્ષિણા કરે અને તેનું આવું પુસ્તક પણ પ્રગટ કરે એ સાનંદાશ્ચર્ય ઉપજાવે એવું છે.
આ શીવાય 'મુંબાઈનો ભોમીયો', 'ડાકોરનો ભોમીયો', 'શ્રી નાથદ્વારાનો ભોમીયો', તેમ જ 'જૈનતિર્થાવલી પ્રવાસ' નામનાં નાનાં નાનાં પુસ્તકો પ્રગટ થયાં છે. તેમ જ 'જ્ઞાનનિધિ' નામ આપી કોઈ એ ચીનની મુસાફરી પણ લખી છે. સર મંચેરજી ભાવનગરીએ 'મહારાણી વિકેટરિયાએ સ્કાટલંડના પહાડી મુલકમાં કરેલા પ્રવાસોનું વર્ણન' અને એક પારસી સન્નારી બાઇશ્રી પુતળીબાઈ વાડિયાએ ‘મહારાણી વિકટોરીયાએ હાયલંડમાં ગુજારેલી જીંદગીની વધુ નોંધો' નું ભાષાન્તર કર્યું છે.
સમુદ્ર પર્યટનનો પ્રતિબંધ ઘણી રીતે આપણા ઉત્કર્ષની આડે આવે છે. સ્થળ અને જળપ્રવાસોમાં ઘણી અડચણો પડે છે એ વાત ખરી, છતાં એ દુઃખદ બંધી દૂર થાય, લોકોમાં પ્રવાસને પ્રેમ વધે અને એની જ સાથે પ્રવાસના માન્ય ગ્રંથોની પણ વૃદ્ધિ થાય એવું દરેક દેશ–દાઝવાળો મનુષ્ય ઈચ્છતા જ હશે.
(૬) પંચાંગ.
આ સાઠીમાં કેટલાંક પંચાંગ પ્રગટ થયાં છે. આપણા ઈલાકામાં છાપખાનાં દાખલ થતાં સહુથી પ્રથમ પુસ્તક તરીકે એક પારસી ગૃહસ્થના સાહસથી પંચાગ જ પ્રસિદ્ધ થયું હતું એ વિષે અમે બીજી જગાએ કહ્યું છે. પારસીઓ તરફથી ‘યજદજરતી તારીખ,’ 'જરતોસ્તી પંચાંગ.’ અને ‘પારસી પંચાંગ' વગેરે નીકળ્યાં છે. કદમી અને શહેનશાહી ગણત્રી સંબંધી તકરાર સંબધે પણ નાનાં ચોપાનીયાં નીકળ્યાં જણાય છે. વિક્રમાર્ક સંવત ઉપરથી ઈસ્વીસન માસ અને તારીખો ખોળી કાઢવાની સુગમતા સારૂ 'સો વર્ષનું પંચાંગ' નીકળ્યું છે. સામાન્ય રીતે 'મુંબઈ સમાચારનું પંચાંગ' ઘણાં વર્ષથી દર વર્ષે નીકળે છે અને લોકોમાં વપરાય છે. મુંબઈના ગુજરાતી પ્રેસે પણ જ્યોતિષ અને બીજી ઘણી બાબતોની માહેતી આપનારું પંચાંગ પ્રગટ કરવા માંડયું છે. આ ગુજરાતીના પંચાંગમાં પ્રતિ વર્ષે એકાદ સચિત્ર