કમી કરવા માગતા નથી પણ અમારે કહેવું પડે છે કે એ કોષ થવાથી. વિદ્યા પ્રકરણમાં કોષની જે ખોટ હતી તે તેવીને તેવીજ રહી હતી.
ત્યાર પછી કરસનદાસ મૂળજી અને શાપુરજી એદલજીના નાના શાળોપયોગી કોષ રચાયા હતા. કરશનદાસના કોષની બીજી આવૃત્તિમાં સુધારો વધારો ઠીક થયો છે. તો પણ એ બન્ને કોષ શાળોપયોગી જ છે. ભાષાની ઘણી સ્મૃદ્ધિ ભોંયરામાં દટાયલી જ રહી હતી. વળી એ ત્રણે કોષ 'ગુજરાતી–ઇંગ્રેજી' હતા એટલે ગુજરાતી શબ્દના અર્થ ગુજરાતીમાં નહિ પણ અંગ્રેજીમાં સમજાવવામાં આવ્યા હતા.
ઈ. સ. ૧૮૭૦ માં કવિ નર્મદે રામાયણ, મહાભારત અને ભાગવતમાં આવેલાં નામો સંબંધી 'નર્મ કથાકોષ' બહાર પાડ્યો હતો. સાડા ત્રણસેં પાનાનો આ ગ્રંથ કવિયે પોતાની રસભરી વાણીમાં લખ્યો છે; અને ભાષામાં એ જાતનું એ એક જ પુસ્તક છે. પહેલાના વારામાં કથા, પૂરાણ, પારાયણ વગેરે સાંભળવાના પ્રચારને લીધે આ બાબતની ઘણી માહિતી અનાયાસે પ્રાપ્ત થતી. પરંતુ હાલની ઉછરતી પ્રજા—લોકોની રહેણીકરણીમાં તેમ જ કેળવણીની પદ્ધતિમાં ફેરફાર થવાથી—આપણા જૂના ગ્રંથો, દેવદેવો, રૂષિ–મુનિયો અને પૌરાણિક આખ્યાયિકાઓ સંબંધી સામાન્ય રીતે કશું જ્ઞાન ધરાવતી નથી. એ ધાટીનાં પુસ્તકોની જરૂર છે. આવા સમયમાં તો ખાસ જરૂર છે. નર્મદનો આ પ્રથમ પ્રયત્ન હતો. એ કાળ પણ જૂદો હતો. હાલના સમયને અનુકુળ અને વિસ્તારવાળા એવા કોષની જરૂરીઆતની કઈ થી પણ ના કહેવાશે નહિ.
ગુજરાતી શબ્દના ગુજરાતીમાં પર્યાય આપતા અતિ ઉપયોગી કોષનો વિચાર અને એ કામ કરવાની પહેલ તો સ્વ. કવિ નર્મદને માટે જ નિર્માણ થઈ હતી. છેક ઈ. સ. ૧૮૬૧ માં એમણે પોતાના ધારેલા કોષનો પ્રથમ ભાગ પહેલો બહાર પાડ્યો. આ કોષ છૂટક છૂટક ભાગમાં બહાર પાડવાનો કવિનો વિચાર હતો. આ પ્રમાણે ચાર ભાગ બહાર પાડીને એ કામ અટક્યું. ઇંગ્લંડ વગેરે દેશમાં કેટલાંક પુસ્તક પ્રગટ થાય તે પહેલાં ખપી જાય છે, અને પ્રગટ થયા પછી બીજા અઠવાડીયામાં તો