ભાષાઓમાંથી નવા દાખલ થયેલા અગર નવા યોજાયલા જેવા દેખાતા કેટલાક છંદ, વૃત્ત, દેશી–લાવણી–ગઝલ વગેરેને માટે બે બોલ બોલવા અનુચિત નહિ ગણાય. ‘પદ્યરચના’ વિશે અમે ઉપર કહી ગયા છીયે એ રીતે જોતાં આ વૃત્ત, છંદ, વગેરે નવા નથી. પણ જૂના પ્રચલિત છંદ વૃત્ત વગેરેના બંધમાં ફેરફાર કરીને તેનો કોઈ ભાગ ઓછો કરીને અગર બેવડાવીને નવિનતા દેખાય એવું જ માત્ર બન્યું છે. કવિ નર્મદે પોતાનું વીરકાવ્ય લખવાને ‘નર્મવૃત્ત’ યોજ્યું હતું. સ્વ. ભોળાનાથે દક્ષણિયોનાં દિંડી અને અભંગ પોતાની પ્રાર્થનામાળામાં દાખલ કર્યા હતાં. દિંડી બહુ લોકપ્રિય વૃત્ત થઈ પડ્યું છે. દિંડીને આ લખનારે કાઠીઆવાડમાં પ્રથમ દાખલ કરી હતી. કાળીદાસના મેઘદૂતનું ભાષાન્તર કરવાને સ્વ. નવલરામે ‘મેઘ છંદ’ની યોજના કરી હતી. એમણે એ આખું કાવ્ય એ છંદમાં જ લખ્યું છે. આ છંદમાં ‘તારું ગોકુળ જોવાને આવરે મથુરાના વાશી’ એ ગરબીને માત્ર ઉલટાવી છે. આંતરાની કડીઓની પેઠે છેલ્લી બે લિંટીઓ ગાવાથી એ છંદ સારા લયમાં ગવાય છે. અંગ્રેજી પ્રાસ વગરની કવિતામાં લાંબાં વાક્ય લખાઈ શકાય છે તેમ એવું પ્રાસ સહિત વૃત્ત યોજવાની લાલસા આ લખનારને અને ડા. હ. હ.-ધ્રુવને થઈ હતી. એમની સૂચનાને અનુસરીને ‘મધુભૃત’ (તે વખતે, મધુભૃતા નામ રાખ્યું હતું) નામે માત્રામેળ છંદ બનાવી એમાં અમે મધુભૃત નામનું ખંડ કાવ્ય લખ્યું હતું. પ્રથમ અંતની છેલ્લી અર્ધી લિંટી ઉથલાવીને એ છંદ સાડા છ લિંટીનો બનાવ્યો હતો. સ્વ. ધ્રુવે આ છંદ થોડો વાપર્યો છે. એક સાખી અને ત્રણ પ્રાસાન્ત પદવાળી ગઝલ બનાવીને તેમાં અમે ‘બુલબુલ’ લખ્યું હતું. રા. નરસૈંરાવે આ ગઝલ પોતાની ‘હૃદયવીણા’માં વાપરી છે. કોઈ વ્રજવાસીને મોઢે સાંભળીને નવી તરેહની લાવણી લખી હતી જે સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવ જેઓ એમના સહાધ્યાયી હતા તેમની પાસેથી સાંભળીને સ્વ. મણિલાલે પોતાના ઉત્તરરામચરિતના ભાષાન્તરમાં કેટલાક ફેરફાર સાથે દાખલ કરી છે. સ્વ. બાલાશંકર કેટલીક તરેહની ગઝલોને ગુજરાતણ બનાવી છે. પોતાના રણપિંગળમાં રા. રા. રણછોડભાઈએ ‘રણોદય’ ‘રણજાતિ’ અને ‘શ્રી ખેંગારવૃત્ત’ ની યોજના કરી છે. સ્વ. ભીમરાવે લાવણીને