અનુભવી કલમથી લખાયલો છે. શ્રીમદ્ બાદરાયણ પ્રણીત બ્રહ્મસૂત્રો ઉપર શ્રી શંકર ભગવાને રચેલા શારીરક મીમાંસા ભાષ્યનો ગુજરાતી અનુવાદ એક સમર્થ ગ્રંથ બન્યો છે. અમારી સાઠીમાં એ ગ્રંથ પૂરા થયો નથી. એનું એક પુસ્તક જ બહાર પડ્યું છે.
સુરતના સનાતન ધર્મ મંડળે પણ કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. ‘યોગવાશિષ્ટ’, ‘યોગ કૌસ્તુભ’, ‘યોગચિંતામણિ’, ‘સાંખ્યદર્શન’, તેમજ ‘સર્વદર્શન’ નામના ગ્રંથો જીજ્ઞાસુઓને માટે પ્રગટ થયા છે. માનસશાસ્ત્ર નામનું એક પુસ્તક પણ લખાયું છે. આ કોટીના ગ્રંથો હજુએ વધારે બહાર પડશે એમ જણાય છે.
(૪) નીતિ
ઈ. સ. ૧૮૫૩માં ઉમેદરામ ઈચ્છારામ તરફથી લઘુહિતોપદેશ નામનું નાનું પુસ્તક બહાર પડ્યું હતું. તે કાળમાં કેવી કેવી બાબતો તરફ લોકોનું લક્ષ ખેંચાયું હતું તે સમજવાને આ નાની ચોપડી સંભારવાની જરૂર છે. ત્યારબાદ જૂનાં પુસ્તકોનાં ભાષાન્તરો થયાં છે. સને ૧૮૭૬ માં ખંભાતના હાલના દિવાન રા. માધવરામે ભર્તૃહરિનાં શતકોનું ભાષાન્તર કર્યું હતું, તે પછી ૧૮૭૮ માં બીજું, અને કેટલાંક વર્ષ બાદ બીજાં બે, એ પ્રમાણે આ શતકોનાં ચારેક જૂદાં જૂદાં ભાષાન્તરો ભાષામાં થયાં છે. બીજા ઘણા કવિયોનાં મુક્તકો ભતૃહરિને નામે ચાલે છે. પ્રસિદ્ધ થયેલાં શતકોમાં પાઠ શંશોધિત કરીને, ભતૃહરિનાં કિયાં તે નક્કી કરીને અનુવાદ થયો હોય એમ જાણ્યામાં નથી. આ શતકોની સારી આવૃત્તિની જરૂર છે.
ઈ. સ. ૧૮૭૮ માં રા. હરગોવંદદાસ કાંટાવાળાએ ‘નીતિ અને લૌકિક ધર્મ’ નામે એક ઇંગ્રેજી પુસ્તકનું ભાષાંતર કર્યું હતું. એક દક્ષણી ગૃહસ્થે ૧૮૭૩ માં વૃદ્ધ ચાણાક્યનો અનુવાદ કર્યો હતો. ત્યારપછી બીજું ભાષાન્તર પણ થયું છે. સ્વ. હ. હ. ધ્રુવે કરેલું ‘લઘુચાણાક્ય’નું ભાષાન્તર સ્વ. માણેકલાલ ભવાનિલાલે સન ૧૮૭૫ માં પ્રસિદ્ધ કર્યું હતું.
‘નશયતે પા’લન’, ‘સ્ત્રીજ્ઞાન દીપિકા’, વગેરે પારસી ગૃહસ્થોની કલમથી લખાયાં છે. તેમજ શેખશાદીની નશયતનું ફારસીમાંથી એક હિંદુ