એક મહેતાજી દેવજી ઉકા પાસે નાગજી કવિના કુંડળીઆ છે. સંવત્સરોના આખા ચક્રની સંખ્યાને સારૂ એ કવિએ અગમચેતી ભાખી છે. રા. દેવજી દેશી વાયુચક્રશાસ્ત્રી એ ઉપનામથી પ્રતિવર્ષે એ સંવત્સરના નામનો કુંડળીઓ છાપી એ વર્ષનું ભવિષ્ય જણાવે છે.
લીમડીના કોઈ જ્યોતિષીએ અને ભરૂચનિવાસી કેાઈ વાનપ્રસ્થ વકીલે ફળાદેશનાં પુસ્તકો બહાર પાડ્યાં છે, અને તે ઘણાં વંચાયાં છે.
ફળાદેશ વિશે બોલતાં કવીશ્વર દલપતરામના ‘દેવજ્ઞદર્પણ’ સબંધે બોલવાનું પ્રાપ્ત થાય છે. એ નિબંધમાં ફળાદેશ કહેનારા જોશીઓને કવીશ્વરે વધાવી લીધા છે. જોશીઓ શું શું કહે છે, અને ભોળાં માણસોને કેવી રીતે ભરમાવે છે વગેરે એમની સાદી અને ઉત્સાહભરી ભાષામાં ઠીક ઠીક કહ્યું છે. એ નિબંધના મુખપૃષ્ટ ઉપરનો શ્લોક અમારા વાંચનારાના કુતુહલની ખાતર આપીએ છીએ.
गणिकागणकौ समानशीलौ
निजपञ्चाङ्गनिदर्शकावुभौ
अधमोत्तमयः प्रकामतुष्टयैः
विधिना वित्तहरों विनिर्मितौ ॥ १ ॥
આ શ્લોક જ નિબંધમાં શું શું કહ્યું હશે તેનો સહજ ખ્યાલ આપશે ! કવીશ્વરની
‘તમે એક્કે જંઈ નહિ આપશે જઈ જોશીને,
‘દઈ દેજો પૈસા પાંચ ડોસા ડોશીને
‘કાંઈ ઠાલા કુવામાં ઠેલીએ જઈ જોશીને
‘નિતનિત કરીએ નમસ્કાર ડોસા ડોશીને' ઈ. ઈ.
- એ રમુજી ગરબી તો અમારા વાંચનારાઓને યાદ હશે.
ખોળ કરતાં શુકન વિશે સુભાગ્યે ‘નજુમનામું’ અને ‘શીયાળ—શુકનાવળી’ નામનાં બે નાનાં ફટાકીયાં, તેમ જ ‘નેપોલિઅનની શુકનાવળી’ એવા મોટા નામનું છપાનીયું એટલું જ માત્ર આ વ્હેમનું સાહિત્ય ઉદ્ભવ થવા પામ્યું છે.