૧૨ વૈદ્યક–આરોગ્ય.
છેક ઇ. સ. ૧૮૫૦ માં મી. રૂસ્તમજી શરાબજી તરફથી ડા. મેકલીનના શારીરશાસ્ત્રનું ભાષાન્તર થયું હતું. ૧૮૭૫–૭૬ માં ડા. ધીરજરામે શારીરવિદ્યાના–૧ અસ્તિવિધા અને ૨ માંસપિંડ એવા બે જૂદા જૂદા ભાગ બહાર પડ્યા હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ શરૂવાતમાં શીળી કઢાવવા સંબંધી લોકોમાં વ્હેમ હોવાથી સ્વ. મગનલાલ વખતચંદ પાસે ‘શિળી વિષે નિબંધ’ લખાવ્યો હતો. આટલા વર્ષ પછી આપણને વખતે એમ લાગે કે એ વિષયના નિબંધની શી જરૂર ? દરેક માબાપ પોતાનાં છોકરાંને શીળી તો કઢાવે જ. પણ તે કાળે તેમ નહોતું. શીળી કાઢનાર આવ્યો જાણીને લોકો પોતાનાં બચ્ચાં સંતાડી દેતાં. શીળી કાઢનારથી ભડકીને વખતે આખા ગામના લોકો નાશી જતા. શીળી વિશે સામાન્ય લોકો શું માનતા એનો ખ્યાલ દલપતરામના રાજ્યવિદ્યાભ્યાસમાંથી આપેલી નીચેની કવિતાની લીંટીઆથી સમજાશે.
બળિયા કાઢે નિસરે ફરી, માતા માટે કોપજ કરી
જેને ફરિ બળિયા નિસરે, એને દાક્તર એવું કરે
ખૂબ ખાટલા સાથે ઘસે, જ્યાં સુધી જીવથી તે જશે.
(રાજવિદ્યાભ્યાસ.)
યુનાની વૈદ્યકના પુસ્તક ‘તીબેસાહબી’ નાં ભાષાન્તર થયાં છે. પણ તેમાં ઝાઝો માલ નથી.
સંસ્કૃત વૈદ્યકના ગ્રંથ ‘હારીતસંહિતા,’ ‘સુશ્રુત,’ ‘ચરક, ‘વૈદ્યામૃત,’ વગેરેનાં ભાષાન્તરો બહાર પડ્યાં છે. ‘વૈદ્યજીવન’ અને ‘વૈદ્યાવતંસ’ નામનું પુસ્તક રા. કૃ. ગો. દેવાશ્રયીએ બહાર પાડ્યું છે. એ પુસ્તકનું ભાષાન્તર સાઠોદરા નાગર સ્વ. પ્રાણલાલ બળદેવજી મુનશીએ કર્યું હતું. એ મૂળ ગ્રંથ ઘણો નામીચો છે. એની કીર્ત્તિ એમાં સમાયલા વૈદ્યકજ્ઞાનને માટે જ નહિ પણ એનાં સુંદર પદલાલિત્ય અને શ્લેશાદિક યુક્તિઓને લીધે છે. આમ કરીને ગ્રંથને શૃંગારમય કરી દીધો છે. ભાષાન્તરમાં