આ સાઠીમાં દેશદાઝવાળા ઘણા વિદ્વાનોનું લક્ષ દેશી કારીગરીની દિવસાનુદિવસ અધમ થતી દશા તરફ દોરાયું છે. જૂદા જૂદા ધંધાની જરૂરીઆતની માહિતી આપનારાં પુસ્તકોની ખાસ જરૂર હતી અને તેમ કરવાનો ખાસ પ્રયાસ પણ થયો હતો. ઈ. સ. ૧૮૬૮ માં સુરતમાં કોઈ એ ‘મોતીના હિસાબની પડી’ એ નામે ઝવેરીઓનો ધંધો કરનારને ઉપયોગી થઈ પડે એવી સમજૂત સાથે કોષ્ટકો છપાવ્યાં હતાં. દેશમાં મીલોના ઉદ્યોગનો વધારો થવાથી તેમાં જૂદી જૂદી જાતની કારીગરીનો ખપ પડવા લાગ્યો. કાંતનાર, ખરાદી, વણનાર, વગેરેના ધંધાની હકીકત જણાવતાં પુસ્તકો ભાષામાં ન હોવાથી ઘણી મુશ્કેલી પડતી. આમ વસ્તુસ્થિતિ હોવાથી એ ધંધામાં પડેલા કેટલાક ગૃહસ્થોએ પોતાના ધંધા સંબંધી પુસ્તકો લખ્યાં છે. છેક ઈ. સ. ૧૮૭૦ માં ‘રૂ કાંતનારનો મદદગાર’ એ નામની ચોપડી લખવાની પહેલ એક પારસી ગૃહસ્થે કરી હતી. ત્યારપછી ‘ટર્નર અને ફીટરનો ભોમીઓ’ એ નામનું પુસ્તક પ્રગટ થયું હતું. સ્વ. લલ્લુભાઇ મથુરાંદાસે પોતાની ‘કાપડ બનાવવાના હન્નરની ચોપડી’ ઈ. સ. ૧૮૭૯ માં પ્રસિદ્ધ કરી હતી. મી. એલચીદાના નામના પારસી ગૃહસ્થે મીલના ઇંજનેરોને માટે પણ એક દળદાર પુસ્તક લખ્યું છે. અમુક અમુક ધંધાની પરીક્ષાઓ માટેની યોગ્યતા સંપાદાન કરવામાં આવી ચોપડીઓ મદદગાર થઈ પડે છે. આ સીવાય ‘ઢોળ ચડાવવાના હુન્નર’ નાં પણ બે એક પુસ્તક લખાયાં છે. સૂર્ય કિરણથી છબી પાડવાની કળા–ફોટોગ્રાફી વિશે પણ એકાદ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. અમદાવાદના એક સૂતારે પણ પોતાના ધંધામાં જરૂર જોગાં જ્યોતિષ, ફળાદેશ અને ગણિતનું એક નાનું પુસ્તક બહાર પાડ્યું છે. ઉપર ગણાવેલા ધંધા સિવાય બીજું કોઈધંધાના સંબંધમાં કોઈ પુસ્તક લખાયાનું જાણમાં નથી. એક બીજી જાતનાં જેમાં પરચુરણ નુસકાઓ અને ઘણા ઘણા ધંધા તેમજ બાબતો સમાવી હોય એવાં કેટલાંક પુસ્તકો બહાર પડ્યાં છે. માણસાની કન્યાશાળાનાં મ્હેતી સૌ. ગંગાબાઇએ આવો ‘હુન્નર રત્નાકર’ કાઢ્યો છે. રા. મોતીલાલ કશળચંદ શાહે પણ આવો એક હુન્નરનો ખજાનો’ ગુજરાતી પ્રજા આગળ ખૂલ્લો કર્યો છે. ઇંગ્રેજીમાં ‘ઈન્કવાયર વુધીન અપ્ ઓન્ એવરી થીંગ’ નામની ચોપડી