આપણે નિર્ધન થતા જઈએ છઈએ એ વિષે કાંઈ સંદેહ હોય–અને કેટલાક એવો સંદેહ લઈ જનારા પણ દેશમાં છે–તેના પ્રતિબોધને અર્થે જૂદી જૂદી વર્ણની અવસ્થા વિસ્તારથી વર્ણવી છે. કોળી વગેરે કેટલાક ગરીબ ગામડીઆનાં દુઃખનું જે વર્ણન કર્યું છે તે વાંચતાં આપણી રૂવાંટી ઉભી થાય છે. અને એમ જ મોંમાંથી નીકળી જાય છે કે અરે પ્રભુ આ તે માણસ જાતની શી અવસ્થા ? પછી યૂરોપના ઇંગ્લંડ વગેરે દેશની સમૃદ્ધિ સાથે મુકાબલો વિધવિધ રીતે કરી બતાવ્યો છે. અને તેના કરતાં તો આપણે ઉતરતા છઈએ તેની કોઈ પણ અર્થવિદ્યાના જાણનારથી ના કહી શકાતી નથી. એ રીતે એ ચોપડીનો પહેલો ભાગ પૂરો થાય છે. બીજા ભાગમાં આપણી નિર્ધનતાનું મુખ્ય કારણ જે કારીગરીની પડતી તેનું વર્ણન કરે છે. એ વાંચતાં તો એમ જ થાય છે કે પરદેશી માલ વિના બીજું આપણે વાપરીએ છઈએ જ શું ? બધું જ પરદેશી ? આ ઠેકાણે પરદેશી માલ ન વહોરવાની ભલામણ ગ્રંથકર્ત્તા સરસ છટાથી કરે છે. અને કેટલાક તે કામને અર્થવિદ્યાના નિયમોની વિરૂદ્ધ જવા જેવું ગણે છે તેનો અર્થવિદ્યાના નિયમથી જ સારો ખુલાસો કરે છે. અર્થવિદ્યાનો જ નિયમ છે કે જો કોઈ દેશમાં કોઈ એકાદો હુન્નર બચપણમાં હોય તે તેને ઉછેરવાને માટે થોડાં વર્ષ સુધી પરદેશના માલને આવતો અટકાવવો જોઈએ. હાલ આપણા દેશમાં સંચાઓ નવા દાખલ થવા લાગ્યા છે તેથી તેને આવા આશ્રયની જરૂર છે. જ્યાં પોતાનું રાજ્ય હોય ત્યાં તો રાજ્ય તરફથી જ એવી જકાત પરદેશી માલ ઉપર મુકવામાં આવે છે કે તે આવતો બંધ પડે છે, અને એટલામાં દેશી હુન્નરને પુષ્ટિ મળે છે. પણ હાલ હિંદુસ્તાનમાં તો એ કામ લોકોને માથે આવી પડ્યું છે. અને તેથી એ કેમ બને તેનો વિચાર પડે છે. તેને માટે નિબંધકાર સમજાવે છે કે લોકો સોંઘો જાણી વિલાયતી માલ લે છે, પણ વિચાર કરે તો તેમાં ખોટ છે. ત્રીજા ભાગમાં આપણાથી કેટલું બની શકે તે વિષે ચર્ચા ચલાવી છે. અહીં એ પુસ્તકની સહેજ નોંધ શીવાય બીજું કહી શકાતું નથી, એ શોચનીય છે. તેમ જ આખા રસમય નિબંધમાંથી અવતરણ તારવી કાઢવાં એ મુશ્કિલ છે. વાંચનારને એ પુસ્તક આખું