(૭) પાલીતાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી પ્રકટ થયેલાં પુસ્તકોમાં ધર્મરત્ન પ્રકરણ, ધર્મ સંગ્રહ, સામ્યશતક, જૈન તત્ત્વાદર્શ ભાગ ૧ લો, આનંદ મંદિર, પાંડવ પ્રબોધ, શ્રેણિક ચરિત્ર, દાનવીર રત્નપાલ, ઉત્તમ કુમાર, દીક્ષાકુમારીપ્રવાસ, જૈન શશિકાંત, આચારપ્રદીપ, પુરૂષાર્થ સિદ્ધિ, જૈન સતીમંડળ, શ્રાવિકાભૂષણ, શ્રાવિકા સુબોધ દર્પણ, જૈન બાળગરબાવળી, શ્રાવકશિક્ષણ રહસ્ય, દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ વગેરે છે. આ વર્ગે સ્વતંત્ર પુસ્તકો લખાવવાનો બીજી જૈન સભાઓ કરતાં સારો પ્રયત્ન કર્યો છે. ભામિની ભૂષણની પદ્ધતી ઉપર એ વર્ગે શ્રાવિકા ભૂષણના ચાર અલંકાર બહાર પાડ્યા છે, તે શ્રાવિકાઓને ખાસ વાંચવા જેવા છે. દીક્ષાકુમારીપ્રવાસ વાંચવાથી જૈન સાધુઓને ઘણું જાણવાનું મળશે, અને જેઓ પ્રમાદમાં રહેતા હોય તેમને પ્રમાદ છોડવાનું મન થશે. પાંડવપ્રબોધ એ જૈન દર્શનનું એક લઘુ મહાભારત જેવું પુસ્તક છે. આનંદ મંદિર નવલવાર્ત્તાની રચના ચંદ્રકુમારરાસ ઉપરથી કરવામાં આવી છે. એ નવલવાર્તા રસીક હોઈ વાંચવા લાયક છે. ધર્મરત્ન પ્રકરણ, જૈનતત્વાદર્શ વગેરે પુસ્તકો એ ભાષાંતર છે. એકંદરે ભાષાંતરો યોગ્ય થયાં છે.
કોઈ તરફથી મને મળેલા (એક ફોર્મમાંથી) મોહન ચરિત્ર નામના એક ગ્રંથના ભાષાંતરમાંથી જરા વાનગી લઈએ. સૌવીર દેશનું વર્ણન કરતાં કહે છે કે:—
દંડો ધ્વજે તથા છત્રે, કંપશ્ચ કરિ કર્ણયો:
ચિંતાગહન શાસ્ત્રેષુ, યત્ર નાન્યત્ર દૃશ્યતે.
શુચં ગૃહં શારિફલે, મદોમત્ત મતંગજે
જાલમાર્ગો ગવાક્ષેષુ યત્ર નાન્યત્ર દૃશ્યતે.
ટાલબંધ: કૂપપટે, કલંકશ્વ કલાનિધૌ;
નિગડશ્વ ગજેંદ્રેષુ, યત્ર નાન્યત્ર દૃશ્યતે.ઈત્યાદિ.