વગેરે અસ્તિત્વમાં આવ્યાં હતાં. કેટલીક જીંદગી અહીં ભોગવી 'હિંદુસ્થાન' મુંબાઈ મરવા ગયું હોય એમ થયું. 'પ્રજામિત્ર' અને 'ન્યાયદર્શક' પણ કાળનો કોળીયો થઈ ગયાં.
કેટલાંક વર્તમાન પત્રો, અથવા અમે એવાને એ સારે નામે નહિ બોલાવીએ–કેટલાંક ચિંથરાં ઘણો નીચો ધંધો લઈ બેઠાં હતાં. તેઓ લોકોની ખરી કે ખોટી ખાનગી વાતો અજવાળામાં લાવવી, ધમકી આપવી અને પૈસા કઢાવવા એ પ્રમાણે પાપે પેટ ભરનારાં હતાં. કેટલાંકનો ત્રાસ ઘણો હતો. એકની જ વાત અમે કહીશું. એક ધનવાન હેવાન પાસે એ ચીંથરીયા અધિપતિએ સેંકડો રૂપિઆ કઢાવ્યા હતા. દર અઠવાડીએ કાંઈ મભમ અને કાંઈ સમજાય એવી ચાર પાંચ લીટીઓ એ ચીંથરામાં હોય જ.
"એક આબરૂદાર શેઠીઆએ ચેતતા રહેવું". “એક માણસની ઘણી નઠારી ખબર અમારી પાસે આવી છે. અને અમે તપાસ કરીએ છીએ; પછી પ્રગટ કરીશું" આવા આવા પેચથી ધનવાન હેવાનોને ધમકાવી લાંચ ઓકાવવાને ધંધો જ લઈ પડ્યો હતો. એક અમુક અધિપતિ છેક અજાણ હતો. ઇંગ્રેજી તો રહ્યું, પણ ગુજરાતી પણ પુરું આવડતું નહોતું. લાજ, શરમ, બીક વગેરેની જોડે એને કશી સગાઈ નહોતી. આ અધિપતિના ચિંથરામાં કાઠીઆવાડના અમુક રાજ્યને માટે ઘણી જુલમ અને ત્રાસ ભરી વાતો મહિના બે મહિના સુધી આવી હતી. ત્યાર બાદ એઓ જાતે આ જુલમની ખેાળ કરવા કાઠીઆવાડ આવ્યા હતા ! અમને મળીને રાજાને મળવાની ખાસ ગોઠવણ કરાવી હતી. સલામને માટે આવવું છે એટલું જ કહેવડાવ્યું હતું. અમારા એક મિત્ર અધિપતિ સાહેબને રાજની હજૂરમાં લઈ ગયા હતા. એઓ કહેતા હતા કે અધિપતિ સાહેબે ઘેરથી દરબાર સુધી રાજાના જુલમ, કારભારીના જૂલમ, અને રૈયતના ત્રાસની જ વાત આખે રસ્તે કરી હતી. રાજા મળ્યા; તમે સારા છો, ઉતારાનો બંદોબસ્ત ઠીક છે અને ફરી આવજો, એટલી જ વાત થઈ. પરંતુ ઉક્ત ત્રણ વાક્યો સિવાય રાજાએ અમારા મિત્રને ઈંગ્રેજીમાં એક નાનો સબળ મંત્ર કહ્યો હતો. એની