અસર બહુ જબરી થઇ હતી. માત્ર આ મંત્રોચ્ચારણથી જ અધિપતિના મનમાં પોતે લખ્યું હતું તે બધું ગલત અને કોઈ એ દ્વેશથી મોકલેલું એવી ખાત્રી થઈ ગઈ ! રાજાએ અમારા મિત્રને કહ્યું હતું કે “ give the... .. begger fifty rupees !” આવતાં રસ્તામાં અને ઘેર આવ્યા બાદ અમારે મોઢે રાજાનાં, કારભારીનાં અને દરેક વસ્તુનાં ઘણાં વખાણ કર્યાં હતાં. લોકો બહુ નઠારા છે, દેશથી વર્તમાનપત્રોમાં ખોટી ખબરો મોકલે છે એવું ઘણું વ્યાખ્યાન કર્યું. એ કહેતા હતા કે એમને વહેમ તો આવ્યો હતો કે આ લખાણ ખરૂં નહોય અને તેંની તપાસ માટે જ પોતે ત્યાં આવ્યા હતા. અને આવ્યા તો ઠીક થયું કે જેથી રાજા–કારભારી વગેરે સારા માણસોને માટે ભૂલથી પણ ખોટું છપાય નહિ ! આવી વાતો જોનાર અને જાણનારને જ હાલનાં વર્તમાનપત્રોમાં કેવો સારો સુધારો થયો છે અને સમગ્ર રીતે તેમની નીતિ કેવી ઉચ્ચ થઇ છે તેનો ખ્યાલ આવે. વર્ત્તમાનપત્રોની આવી સ્થિતિ ખરેખાત આનંદદાયક છે.
બાળલગ્નનિષેધક નામની એક ઘણી ઉપયોગી સંસ્થાની સ્થાપના અહીં થઈ હતી. તેની તરફથી ‘બાળલગ્ન નિષેધક પત્રિકા’ નામનું નાનું વર્ત્તમાન નીકળતું. પાછળથી અમારા સ્વ. મિત્ર કેશવલાલ મોતીલાલે કેટલોક કાળ એ પત્ર બાહોશીથી ચલાવ્યું હતું. દુર્ભાગ્યે આ ઉપયોગી સંસ્થા પડી ભાગી; એના કેટલાક અગ્રણીઓ અને સભાસદોએ રૂઢીનાં પગનાં પેંજાર ચુમ્યાં અને પોતાની પ્રતિજ્ઞાઓ તોડી. સંસ્થાનું જ આમ થાય ત્યારે એ બીચારી નાની બાળકી શી રીતે જીવે ?
પ્રાર્થના સમાજ તરફથી ‘જ્ઞાનસુધા’ નામનું પત્ર નીકળ્યું છે. એમાં ધર્મસંબંધી વિષયો અને હાલના તંત્રી રા. રમણભાઈના તાબામાં આવ્યા પછીસાહિત્યની ચર્ચા પણ આવે છે. સુદર્શનની સાથે જ્ઞાનસુધા ઘણીવાર તકરારમાં ઉતર્યું છે. એ પત્રમાં આવેલા સાહિત્યના વિષયો અને વાર્ત્તિકો વગેરેમાંથી રા. રમણભાઈએ પોતાનો ‘કવિતા અને સાહિત્ય’ નામનો સુંદર ગ્રંથ ગુજરાતી પ્રજાને આપ્યો છે.