પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

સન ૧૮૪૩ માં પ્રથમ મુંબાઈ પધાર્યા. અહમદનગર, ખાનદેશ અને મુંબાઈમાં થોડો થોડો કાળ નોકરી કરીને તેઓ અમદાબાદના એસિસ્ટંટ જજ્જ નિમાયા.

“સન ૧૮૪૬ ના નોવેમ્બર માસમાં ફોર્બ્સ્‌નાં અમદાવાદમાં ચરણ થયાં, ગુજરાતના ભાગ્યોદયનો અવતાર થયો તે એજ સમયમાં એમ કહિયે તો ચાલે”

“ગાયકવાડ અને પેશવાની વારાફરતી ચડતી પડતી ગુજરાતમાં થતી, તેમ તેમ તેઓ ગુજરાતને પોતાના વારામાં ચુસતાઃ ગુજરાત એક અને તેને ચુસનાર જમ જેવા બે. એટલે ગુજરાતની દુર્દશામાં શી બાકી ? સન ૧૮૧૮ સુધી ગુજરાતવાસીથી નિર્મલ વસ્ત્ર પહેરાતાં નહિ......કોઈને ઉજલો દીઠો તો ચાડિયા તૈયાર હતા. તેઓ ચાડી ખાય અને તે પ્રમાણે મૂર્ખ રાજાના મૂર્ખ સરદારો તેને લુંટે. ધન નામ ધરનારા સર્વે પદાર્થોને પૃથિવીમાં દટાઈ રહેવું પડતું હતું.”

“એવા અંધકારમાં સન ૧૮૦૦ ની સાલથી કહિં કહિં કીરણ પડવા માંડ્યાં અને સન ૧૮૧૮ માં આપણું ઇંગ્રેજી રાજ્ય થયું, અને અંધકાર ખસવા માંડ્યો. એજ સંધીમાં ફોર્બ્સ સાહેબ ત્યાં આવ્યા.”

“ગુજરાતનાં ભવ્ય શિલ્પ કામ જોઈ તેમને લાગ્યું કે કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકના મહિમાનાં આ અવાચક ચિન્હ છે. પોતે કુલીન તેથી કુલીનચિન્હવાન પણ દીન થઈ ગયેલા ગુજરાતની તેને અંતઃકરણથી દયા આવી.” પરિણામ એ થયો કે ગુજરાતનો અનુગ્રહ કરવાને પોતે તૈયાર થયા. પ્રીતિભાવથી ગુજરાતની આગલી જાહોજલાલીનાં વર્ણન ભર્યો ઇતિહાસનો ગ્રંથ 'રાસમાળા' લખવાનો ઉપકાર કર્યો.

કરનલ ટૉડ કુલીન વિણ ક્ષત્રિય યશ ક્ષય થાત;
ફાર્બસ સમ સાધન વિના નવ ઉધરત ગુજરાત.

રા. સા. ભોગીલાલ પાસે અભ્યાસ કર્યા પછી સ્વ. ભોળાનાથની ભલામણપરથી કવીશ્વર દલપતરામને સને ૧૮૪૮ માં પોતાની પાસે તેડાવ્યા.

કવિ દલપતરામ મૂળ વઢવાણના “સામવેદી બ્રાહ્મણ શ્રીમાળી” હતા, ભૂજની પોશાળ વગેરે જગાએ જૂના સાહિત્યનો અભ્યાસ કરીને