ગુજરાતી સાહિત્યને અંગે બોલતાં અમે આ યશસ્વી પુરૂષને આટલીજ માત્ર અંજળી આપી શકીએ છઇએ. એ મહાપુરૂષનું જીવન જાણવાને પાછલાં બુદ્ધિપ્રકાશ અને ફાર્બસ જીવનચરિત્ર વાંચવાથી સાનંદાશ્ચર્ય ઉત્પન્ન થશે. ગમે તેમ પણ જ્યાં સુધી ગુજરાતી ભાષા છે ત્યાં સુધી સ્વ. અલેક્ષાંડર કિન્લોક ફોર્બ્સનું પવિત્ર નામ આપણા લોકોમાં નિશ્ચળ રહેશે.
પ્રકરણ ૪.
અલેક્ષાંડર કિન્લોક ફોર્બ્સ જેવા પુરૂષની જોડે ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને ઉન્નતિ કરવામાં સામીલ રહેનારા કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી. આઈ. ઇ.નું જીવન કોઈ પણ રીતે ઓછી પ્રશંસાને પાત્ર નથી. તેઓનો ફોર્બ્સ સાહેબની સાથે યોગ શી રીતે થયો તે અમે સહજ કહી ગયા છઇએ. પોતાથી બની શકે એટલો મહાભારત શ્રમ કરવામાં એમણે પણ કચાશ રાખી નથી.
ગયા પ્રકરણમાં તે કાળે કેવા સાહિત્યની જરૂર હતી તે સ્વ. ફોર્બ્સનાજ બોલમાં અમે કહી ગયા. લોકોમાં ઘણા કુચાલો જડ ઘાલીને રહ્યા છે હતા. ઠેકાણે ઠેકાણે કુધારો વ્યાપી રહ્યો હતો. આવા કુચાલો–રિવાજોને નાબુદ કરવાનો યત્ન તે સુધારો એમ દલપતરામનું માનવું હતું. લોકોમાં સદ્ધર્મ, સુનીતિ, સારા રિવાજ વગેરે વધે એજ એમની લાલસા હતી. નવા રિવાજોપર એમને આંધળો મોહ નહોતો. જૂના ચાલ ઉપર માત્ર જૂનાપણાના કારણથી જ જેમ તિરસ્કાર તેમ મોહ પણ નહોતો. જન સમાજની દરેક બાબતને અમુક લાગણીથી દૂષિત દૃષ્ટિએ નહિ પણ નિષ્પક્ષપાત નજરે જોતાં જે લાગતું તેજ કુધારો. પોતે 'યાહોમ' કરવાના મતના નહિ પણ 'સજન સંભળાવજો રે ધીરે ધીરે સુધારાનો સાર' એ નીતિના હતા. છતાં તેમને કુધારો લાગેલી એવી ઘણી બાબતો હતી. તેમના પોતાના જ બોલમાં કહીએ તો:—