ઝાડની હકીકત' અને 'કથનાવળિ' નામનાં પુસ્તકો રચ્યાં હતાં. જનરલ ગોડર્ડે અમદાવાદ લીધું તેના વર્ણનનો 'રાસડો' એમણે જોડ્યો છે. એમાં અમદાવાદ શી રીતે પડ્યું, કયાં ક્યાં ઝપાઝપી થઈ, અને નગરશેઠ વખતચંદ વગેરેએ શહેરને લૂટાઇને પાયમાલ થતાં શી રીતે બચાવ્યું વગેરે વર્ણવ્યું છે.
સ્વ. ખુશાલરાય સારાભાઇએ તેવામાં ‘ડાકણ વિષે નિબંધ’ અને બીજાં વ્હેમવિદારણા સારૂ પુસ્તકો લખ્યાં છે.
સ્વ. સાંકળેશ્વર જોષી, ગુજરાતમાં યાંત્રિકળામાં ઘણા નિપુણ ગૃહસ્થ હતા. તેમણે 'કીમીઆગર ચરિત્ર', 'સોની વિષે નિબંધ,' અને ‘બાળવિવાહ નિષેધક’ નામનાં પુસ્તકો તે કાળમાં લખ્યાં હતાં. વિપળ, પળ, સેંકંડ, મિનિટ, કલાક, ઘડી, તિથિ, વાર, પક્ષ, માસ, વર્ષ વગેરે ઘણી ઘણી બાબતો બતાવતું ઘડીઆળ એમણે બનાવ્યું હતું. ધ્રાંગ્ધરામાં મિનારાપર મુકેલું ઘડીઆળ પણ એમણેજ કરેલું છે.
મહુર્મ ખા. બા. એદલજી ડોસાભાઇ અમદાવાદના વતની, એમણે પણ તે શરૂવાતના વખતમાં ઇતિહાસનું પુસ્તક લખીને સાહિત્યસેવા બજાવી હતી. સ્વ. ફોર્બ્સે પોતાના રિપોર્ટમાં એમના પુસ્તકનાં વખાણ કર્યાં છે.
અગાઉ જતાં સોસાઇટીના સંબંધમાં આવેલા અને સાહિત્યસેવા કરનાર વયોવૃદ્ધ અને ભૂજના માજી દીવાન રણછોડભાઇ ઉદયરામનું નામ પણ આ કોટિમાં ગણવા યોગ્ય છે. એ ગૃહસ્થ નાનપણથીજ સાહિત્ય તરફ પોતાની અભિરૂચી બતાવી હતી. ‘આરોગ્યના સૂચક’ અને ‘આરોગ્યતા સુખ’ નામનાં નાનાં પુસ્તકો એમણે લખ્યાં હતાં. ‘જયકુમારી વિજય નાટક ’ લખી તે વખતની પ્રજાને આનંદ આપ્યો હતો. થોડા કાળ પછી ‘લલિતા દુઃખદર્શક નાટક’ એમણે લખ્યું હતું. બાળલગ્ન, કજોડાં, તેમજ હિંદુસંસારમાં અસ્તિત્વ ધરાવતા ઘણા કુચાલોને વગોવવામાં, વખોડવામાં એમણે બાકી રાખી નથી. લલિતા દુઃખદર્શક નજરે જોએલા બનાવનુંજ ચિત્ર છે અને જયકુમારી વિજય નાટક પણ નામ ફેરવેલાં ખરાં મનુષ્યોએ સંસારમાં ભજવેલા બનાવનીજ પ્રતિકૃત્તિ છે એમ તે કાળે કહેવાતું. મહા