પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
તે સમયના અમદાવાદના પ્રથમ કામ કરનારા ગૃહસ્થો.

કવિ કાળીદાસની પ્રસાદી ગુજરાતી પ્રજાને પ્રથમ ચખાડવાનું માન એ વિદ્વાનને ઘટે છે. તેમનાં લખેલાં ‘વિક્રમોર્વશી ત્રોટક' અને 'માલવિકાગ્નિમિત્રે' પ્રજાને તે સમયે આનંદ આપ્યો હતો. તે સિવાય 'બાણાસુર મદમર્દન,’ ‘હરિશ્ચન્દ્ર નાટક,’ ‘મદાલસા અને ઋતુધ્વજ’ અને ‘નળદમયંતી નાટક' એટલી એમની કૃતિ છે. નાટકો તરફ વિશેષ વૃત્તિ હોવા છતાં એમની કલમ ઘણા ઘણા વિષયમાં ઘુમી રહી હતી. ફોર્બ્સ સાહેબની 'રાસમાળાનું' ગુજરાતી ભાષાન્તર, 'શેક્સ્પીઅર કથાસમાજ', સંસ્કૃત વ્યાકરણ 'લઘુ કૌમુદી,’ વગેરે ગુજરાતીમાં એમણે ઉમેર્યાં છે. છેલ્લાં વર્ષોમાં એમણે 'રણપિંગળ' નો મહોટો ગ્રંથ લખવાનો આરંભ કર્યો છે. તેનાં ત્રણ પુસ્તકો તો બહાર પડી ચૂક્યાં છે. આ રીતે આ વયોવૃદ્ધ વિદ્ધાને ગુજરાતી સાહિત્યમાં ચોવીશ પચ્ચીશ સારા ગ્રંથોનો વધારો કર્યો છે.

સ્વ. ભોળાનાથ સારાભાઇનું પવિત્ર નામ પ્રથમથી જ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના ઉદ્યોગમાં સામીલ રહેનારા ગૃહસ્થોમાં માનપ્રદ સ્થાન ભોગવે છે. નાગર અને ગર્ભશ્રીમન્ત કુટુંબમાં જન્મેલા આ સાહિત્યપ્રેમી ગૃહસ્થ પોતાની સંસ્કૃત અને ફારસી વિદ્વત્તાને માટે જાણીતા હતા. એમની ફારસી વિદ્યા એવી હતી કે ઘણા મૂનશીઓ પણ ફારસીના અટપટા સવાલમાં એમનો અભિપ્રાય લેતા. એમનું ફારસી પુસ્તકખાનું જોવા લાયક છે. કવીશ્વર દલપતરામનો ફોર્બ્સ સાથે યોગ એમનાથીજ થયો હતો, એ અમે કહી ગયા છઇએ. શરૂવાતના વખતમાં એમણે 'મિતાક્ષરા' નું ભાષાન્તર કર્યું હતું. આરંભમાંની મૂર્ત્તિપૂજા અને શ્રી અંબાની દૃઢ ભક્તિ, છેવટે અપ્રતિમ ઈશ્વરારાધનામાં વિરામી હતી. ધર્મ સુધારો એમના વાનપ્રસ્થાશ્રમના ઉદ્યોગનો દેશ હતો. અને નિડરતાથી એમણે ધર્મ બગાડાનો ઉચ્છેદ કરી સદ્ધર્મની ધજા ફરકાવવાનો યત્ન આદર્યો હતો. એમનું કવિત્વ, એમની ઈશ્વરભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાના સ્મરણસ્થંભ રૂપ એમની 'ઇશ્વર પ્રાર્થના માળા’ જમાનાના જમાના સુધી પ્રજાનું લક્ષ આકર્ષશે.

તે વખતના ખિલતા જુવાનિયાઓમાં રણછોડભાઈ વગેરેના મિત્રમંડળ માંહીના સ્વ. મન:સુખરામ સૂર્યરામનું નામ પણ ગુજરાતી