પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
તે સમયના અમદાવાદના પ્રથમ કામ કરનારા ગૃહસ્થો.

વરસોડાના રહીશ, થોડો કાળ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની નોકરી કરનાર હરજીવન કુબેરે પણ પ્રારંભ કાળમાં સાહિત્યની કેટલીક સેવા ઉઠાવી હતી. પાછલી વયમાં લોકોએ એમને ઋષિરાજનું બિરુદ આપ્યું છે 'ચાવડા ચરિત્ર' નામે જુની ધાટીનું એક સુંદર કાવ્ય એમણે લખ્યું હતું. આ હરજીવનને ભરૂચવાળા પણ મુંબાઈ નિવાસી મી. ગીરધરલાલ દયાળદાસ કોઠારી સાથે કોઈ વિષયની વર્ત્તમાનપત્રદ્વારા ચર્ચા થઈ હતી; અને મી. કોઠારીને એમણે ઠીક ખંખેર્યા હતા. સન ૧૮૭૫ માં અમે 'સ્વદેશ વત્સલ’ નામનું સાપ્તાહિક પત્ર કાઢતા હતા તે વખત એક દિવસ સ્વ. દલપતરામજી અમારા છાપખાનામાં આવ્યા અને એક *[૧]દ્વિઅર્થી દોહરો અમારા પત્રમાં પ્રગટ કરવા આપી ગયા હતા. બુદ્ધિપ્રકાશમાં કેમ છાપતા નથી, એમ પુછતાં એમણે કહ્યું કે મેં દ્વેષથી છાપ્યું કહેવાય માટે તમારા પત્રમાં છાપજો. અમે તે છાપ્યો હતો. નર્મદ અને મી. કોઠારી મિત્ર હતા અને સુધારાવાળા હતા તે જાણીતી વાત છે. હરજીવનની સાથની તકરાર શેની હતી તે હાલ યાદ નથી પણ હરજીવને ઝાટકણી ઠીક કાઢી હતી એ નિર્વિવાદિત છે.

રેવરંડ જોસફ વાન સોમરેન ટેલરનું પૂજ્ય નામ ગુજરાતી સાહિત્યના ઈતિહાસની નોંધ લેતાં જરૂર સ્મરણ કરવા યોગ્ય છે. ગુજરાતી ભાષાનું સારૂં ‘વ્યાકરણ,’ ‘ધાતુ કોષ’ વગેરે લખીને તેમણે સારી સેવા બજાવી છે. ગુજરાતી ભાષા તરફ એમનાં પ્રેમનાં દૃષ્ટાન્ત તરીકે પોતાના વ્યાકરણમાં લખેલી પ્રસ્તાવના અને પ્રસ્તાવના કરતાં પણ સમાપ્તિ લેખનું આરંભનૂં


  1. *અમારા વાંચનારના કુતુહળને સારૂ અમે એ દોહરો આપીએ છઇએ. નૃસિંહાવતાર ધરીને વિષ્ણુએ–ગીરધરે–હિરણ્કશિપુને મારી નાખ્યો. અને ગર્જના કરવા લાગ્યો. તે વખત મહાદેવે–હરે–શલભ જાતના પક્ષિનું રૂપ ધારણ કરીને એની આંખો ફોડી નાંખીને મારી નાંખીને એ અવતારનો અન્ત આણ્યો હતો. દોહરાનો દેખીતો અર્થ ઉપરની મતલબનો છે. બીજો અર્થ ગીરધરલાલ અને હરજીવન પરત્વે છે તે સ્પષ્ટ છે.

    “ ગિરધર કરતો ગર્જના સિંહરૂપે સહુ ઠાર ”
    "મગરૂરી દેખી મળ્યો હર જીવન હરનાર—”


    આવી આવી ક્ષુલ્લક વાતો પણ કવિ અને કવીશ્વરનો સંબંધ સમજાવવાને ઠીક છે.