ખંડક વિશેષ ધ્યાન ખેંચનારું છે. વિશ્વાસીધર્મ પુસ્તકો પણ એમણે ગુજરાતીમાં લખ્યાં છે.
શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ જેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સાથે એક કાળે સંબંધમાં હતા તેમની મહેનતની નોંધ અવશ્ય લેવી જ ઘટે છે. ગુજરાતી ભાષાના કોષના સંબંધમાં તેમણે કેટલોક કાળ કામ કર્યું હતું. એટલું જ નહિ, પણ વિદ્વત્તા ભર્યાં પસ્તકો લખ્યાં છે. 'ઉત્સર્ગમાળા' અને 'ગુજરાતી ભાષાનો ઈતિહાસ' એ બન્ને એ જાતનાં ગ્રંથોમાં પહેલા જ છે. શાસ્ત્રીના ભાઈ છોટમલાલ ધર્મ વિષય પર લખનાર કવિ હતા. ભાષામાં એમણે એ વિષયની કવિતાનો ઉમેરો કર્યો છે. બંને વિદ્વાન ભાઈઓ પહેલાં સાઠોદરા નાગરની નાતના મોટા તડના પણ વિવાહ સંબંધે નાના તડના અને મલાતજના રહીશ હતા.
સાહિત્યને વિશે બોલતાં કેળવણી, સુધારો–એટલે જૂના કુચાલોને નાબુદ કરવાને થતું મંથન તેમજ લોકોમાં જ્ઞાન ફેલાવવાને માટે કરવામાં આવેલા પ્રયત્નોને માટે બોલવું જ પડે છે. એ બધા વિષયેનાં વર્ણનો વચ્ચે મર્યાદા નક્કી કરવી બહુ સહેલ નથી. એક વિષય માટે કહેતાં બીજા માટે સહેજ પણ કહેવું પડે છે.
જે કાળની હકીકત અમે કહીએ છઈએ તે કાળનો ઉત્સાહ કાંઇ વિલક્ષણ પ્રકારનો હતો. નવું ચાલવા શિખેલું બાળક જેમ વધારે ચાલવાને ભાંખડીએ પડીને વધારેને વધારે યત્ન કરે તેમ આખી પ્રજા કરી રહી હતી. નવી મળેલી શક્તિ વાપરવાને બધાંના મનમાં ઉત્સાહ રમી રહ્યો હતો. માબાપો જેમ નવા ચાલતાં શીખેલાં બચ્ચાને પોતે સામ સામાં બેશીને કાંઇ લેવા લાયક રમકડું બતાવીને એક બીજાની પાસે મોકલી ચાલવાનો પ્રયત્ન કરાવે તેમ ઠેર ઠેર વધારે ભણેલા−નવું ઇંગ્રેજી ભણેલા–સુધરેલા જૂવાનો કરી રહ્યા હતા.