( ૧ ) અભિજ્ઞાન શકુન્તલા નાટક. રા. દલપતરામ ખખ્ખર.
ઋષિo (આગળ જઈને હાથ ઉંચા કરીને આશિર્વાદ દે છે.) રાજા તારો વિજય થાઓ.
રાજાo ( હાથ જોડીને કેo ) હું સર્વને નમસ્કાર કરૂં છું.
રાજાo તમારી તપશ્ચર્યા નિર્વિઘ્ને ચાલે છે કે ?
ઋષિo તારા પ્રતાપથી નિર્વિઘ્ને જ ચાલે છે.
તૂ રક્ષક છે જ્યારે, તવ તપમાં વિઘ્ન કોણ કરનાર ?
રવિ જ્યાં સુધી પ્રકાશે, ત્યાં સુધિ તમ ક્યાં થકી પ્રસરનાર. ૧૨૯
રાજાo અલબત ચાલો ત્યારે રાજા ( રક્ષણ કરનાર ) એવું જે મારૂં નામ તેનું સાર્થક થયું. વારૂ એ તો થયું. પણ હવે તમારા ગુરૂ કણ્વ મહામુનિ લોકકલ્યાણાર્થ કુશળ તો છે કે ?
ઋષિo રાજા, તે પોતાની તપ:સિદ્ધિથી કુશળ છે. તેણે તારી ક્ષેમકુશળતાની ખબરઅંતર પૂછ્યા પછી એક સંદેશો કહેવાનું કહ્યું છે.
રાજાo તેમની શી આજ્ઞા છે ?
શાo જે કહ્યું છે તે કહું છું, સાંભળો. મારી પાછળ તમે પરસ્પર સંકેતથી મારી કન્યા સાથે લગ્ન કીધાં તે વાતને મારું અનુમત છે એટલું જ નહિ પણ તેથી હું બહુ પ્રસન્ન થયો છું. કેમકે,
અધિક પ્રતાપવાન સહૂ શ્રેષ્ટ સ્વામી થકી
તૂજને ગણિયે છિયે અમે નીજ મંનમાંહિ;
તેમ સહૂ સદ્ગુણ કેરી શકુન્તલા શૂભ,
હૂબેહૂબ પ્રતિમા પ્રગટ સ્ત્રીને રૂપે આંહી;
કંથ ને કામનિ કેરૂં જોડું તે અનૂપ જોઇ,
રીઝિયે છિયે અમે સુજશ વિધિ કેરા ગાઈ;
કજોડાંથી રિઝે છે એ દોષ હવે તેનાપર,
કોઈને મૂકવા તણી રહી ન જરૂર કાંઈ. ૧૩૦