આવા ગ્રંથને પ્રસ્તાવનાની બહુ જરૂર જણાતી નથી, છતાં એક બે બાબતો કહેવી જોઇએ એમ પણ છે.
પ્રેમાનંદ જેવા સર્વોપરી કવિનાં કાવ્યોની કિંમત અને ગણના છેક આ કાળમાં થાય છે. શેક્સ્પીઅર જેવા કવિની કિંમત પણ તેમની પછીના જમાનામાં જ થઇ હતી. વળી એમ પણ બને છે કે અમુક પુસ્તક પ્રસિદ્ધ થતાં જ પ્રજાને તેનો મોહ લાગે છે, તથાપિ કાળે કરીને ઉભરો શમી જતાં તે ઉતરી જાય છે, અગર ઓછો થાય છે. પાણીમાં પડેલા પદાર્થ ઉંચા નીચા થઇ, ઝોલાં ખાઈ આખરે પોતાના ગુરૂત્વના પ્રમાણમાં અમુક સ્થળે સ્થિર થાય છે; કેટલાક તળીએ બેસે છે, કેટલાક અધવચ રહે છે અને કેટલાક સપાટીપર તરતા રહે છે. પુસ્તકોની બાબતમાં આવો જ નિયમ હોય એમ અમારૂં માનવું છે. કેટલાંક થોડો કાળ વાહ વાહ બોલાઇ પછીથી વિસરી જવાય છે ત્યારે કેટલાંક પ્રજાની દૃષ્ટિ આગળ સર્વદા રહીને વાંચનારને આનંદ આપે છે. કેટલાંકને ફરી ફરી વાંચતાં તેમાં નવો નવો આનંદ સ્ફુરે છે. પદાર્થ કઇ જગાએ સ્થિર થશે, કીયું પદ પ્રાપ્ત કરશે–તેનો નિર્ણય સમયને આધીન છે. ગૂજરાતી સાહિત્યમાં પ્રકટ થયેલાં પુસ્તકોને માટે પણ આમ જ કહી શકાય.
આમ હોવાથી પુસ્તકોને માટે પણ અભિપ્રાય બે રીતનો હોય. જે કાળે તે પ્રકટ થયું હોય તે કાળના લોકોનો અને બીજો હવે પછીની પ્રજાનો. અમુક પુસ્તકને માટે હવે પછીની પ્રજા શો અભિપ્રાય બાંધશે તે તો ભવિષ્યની વાત છે. ટૂંકામાં ગુજરાતી વાચકવૃન્દનો અભિપ્રાયથાળે પડીને અમુક પુસ્તક પ્રજાની દૃષ્ટિએ કેવું અને કેટલું કિંમતી જણાશે એ નિર્ણયને માટે હજુ ઘણાં વર્ષ લાગશે. જે સમયમાં પ્રકટ થયેલા સાહિત્યનું આ પુસ્તકમાં દિગ્દર્શન થાય છે તે સાઠી એટલે સાઠ વર્ષનો છતાં ટૂંકો છે. એટલુંજ નહિ પણ બહુ પાસેનો છે. આમ હોવાથી અમારો એકલાનો આધીન અભિપ્રાય જ આપવા ધૃષ્ટતા કર્યા કરતાં તેમના પ્રકટ થવાના