લાગણી નથી. મૂર્તિમંત મૂંગી વેદના બેઠી છે એ તો.
એ કુટુંબ-મેળાને શામળે પોતાના પરાક્રમની આખી કથા કહી સંભળાવી.
આશ્ચર્યની દૃષ્ટિએ સહુ જોઈ રહ્યાં. તેજુની મા કહે કે “આય ઠીક એક રોનક થયું છે, માડી ! હદ છે તારી છાતીને !”
છોકરાંને તો ઘરમાં કોઈ એક વાર્તા માંહ્યલો વીરપુરુષ ક્યાંઈકથી ઊતરીને આવ્યો હોય એવું થયા કર્યું.
“તેજુબહેન ક્યાં ગઈ ?” શામળ શોધવા લાગ્યો.
વાત ચાલતી હતી ત્યારે તેજુને વારંવાર ખાંસી આવતી હતી, વાતમાં દરેક વખત વિક્ષેપ પડતો હતો. છોકરાંને અને માને એટલો રસ પડ્યો હતો કે તેજુને ઉધરસ આવે ત્યારે તેઓ કચવાઈને નિહાળી રહેતાં. પછી ખાંસી તેજુની દાબી કેમેય ન રહી ત્યારે નાની બહેન લાડુ બોલી : “બોન તો ભારી, ભૈ! ખોં ખોં કરતી કાન પડ્યું સાંભળવાય ન દિયે.” એથી તેજુ બહાર જઈ ઊભી હતી.
શામળે વાત પૂરી કરીને તેજુને શોધી, બહાર ઊભેલી ત્યાં જઈને એને પૂછયું : “તેજુબેન ! કેવી લાગી આખી વાત ?”
તેજુની પાંપણો વચ્ચેથી આંસુ ડોકાયાં.
“કેમ કોચવાય છે ?”
“કંઈ નહીં, ભાઈ ! મને આજ કશું જ ગમતું નથી. છાતી દુખે છે. આમ હું શી રીતે સંચે ઊભી શકીશ ?”
“તું ફિકર ન કર. તને તો હું પહેલી ઠેકાણે પાડવાનો છું. સાંભળ તેજુબેન ! પંડિત ધર્મપાલજી તો પ્રભુના દૂત જેવા પુરુષ છે. એ તો બાપડા બીજાને મદદ કરવા સારુ તલખે છે. એના દરિદ્ર ઉદ્ધાર-સંઘમાં કંઈક શેઠિયા પડ્યા છે. ક્યાંઈક એ તને ઠેકાણે પાડી દેશે. હું એને કાલે જ મળીશ.”
શામળે ધર્મપાલજીની પરગજુ વૃત્તિની ને નાની વીણાની વાતો કરીને તેજુની સન્મુખ એક કનકમય સૃષ્ટિ ખડી કરી.