પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિશ્વબંધુત્વ-સમાજ
105
 

આચાર્યો રોષે ભરાય. ને અમારે અમારા પંથને કોઈ અન્ય પંથની જોડે ટંટામાં ઉતારવાનું ન પાલવે.”

“પણ એમાં ટંટામાં ઉતારવાનું ક્યાં આવ્યું ? એમાં વૈષ્ણવ આચાર્યોને રોષે ભરાવાનું શું પ્રયોજન ? એમાં શ્રીમંતાઈની શી વાત ?”

“ભાઈ, તું હજુ બાળક છે. તને દુનિયાના વ્યવહારની ખબર નથી. કોઈપણ ધર્મના પંથમાંથી એક શ્રીમંત અનુયાયીને ખેસવવો, એ તે પંથનો થાંભલો તોડવા જેવું થાય.”

“શા સારુ ?”

“કેમ કે દરેક પંથને પૈસાની તો પહેલી જરૂર. દેવાલયો બાંધવાં, ઓછવો કરવા, મૂર્તિઓ પધરાવવી, આચાર્યો-ઉપદેશકોનાં ખર્ચો નભાવવાં, એ તમામ કંઈ પૈસાદારના ફાળા વગર થઈ શકે છે, ભાઈ ? પેટ તો સહુને પડ્યાં છે ને ?”

ધર્મપાલજી એ રીતે વાતને વિનોદમાં ઉડાવવા જતા હતા, પણ શામળને મન એ પરિહાસની વાત નહોતી. એને તો એ જીવનનો ગંભીર ઉગ્ર પ્રશ્ન થઈ પડ્યો, “ત્યારે તો તમારે શું તમારા અનુયાયીઓના ફાળા પર નભવું પડે છે, પંડિતજી ?”

“અં… ના, નહીં.” ધર્મપાલજીએ ત્વરાથી જવાબ વાળ્યો, “મારે તો બીજી સ્વતંત્ર આવક છે.”

“મારી વાત બરાબર સમજો, હો સાહેબ !” શામળે ચલાવ્યું, "દિત્તુભાઈના એકલાના સત્યાનાશની આ વાત નથી. એ તો એની મરજીના ધણી છે. પણ આપ વિચારી તો જુઓ, હર સાલ સાત લાખ રૂપિયા એના હાથે ફના થાય છે. એમાંથી એક દુકાનીય એ રળેલ નથી. એમ તો જુઓ, કે આંહીં હજારો લોકો ‘કામ ! કામ !’ ઝંખતા કામને અભાવે કીડી-મકોડીની પેઠે ચગદાઈ મરે છે. ત્યારે આ બદફેલ જુવાન એકલો સાત લાખનું પાણી કરે છે. આવું ચાલવા દેવાય ?”

“તારી વાત સાચી, પણ શું કરીએ, ભાઈ ? કેટલોક સડો તો વિકાસક્રમના નિયમ મુજબ આપોઆપ જ કાળાંતરે મટશે.”