પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
148
સત્યની શોધમાં
 

જાણે છે ?”

“જી હા. હું પ્રથમ તો એમની જ પાસે ગયેલો, પણ એમણે કશો જ ભાગ લેવા ના પાડી. એને આ મારું પગલું પસંદ પણ નથી. હું મારી પોતાની જ જવાબદારી પર આવું છું. આપ મારા પર ગુસ્સો કરશો શું ?”

“હં-હં – ગુસ્સો તારા જેવા મગતરા પર શું કરું ? પણ છોકરા, તારે થોડાક દુનિયાના જ્ઞાનની, થોડા અનુભવના તમાચાની જરૂર છે.”

“પણ શેઠસાહેબ, આ મેં કહી તે વાતો તો સાચી જ છે ને ?”

“હશે – એક રીતે સાચી.”

“ને એ વાતો તો અધમ જ છે ને ?”

“તને લાગતી હશે, કેમ કે દુનિયાનું તને જ્ઞાન નથી.”

“આપ પોતાની માતૃભૂમિના રાજકારોબારને ભ્રષ્ટ કરી રહ્યા છો, શેઠસાહેબ !”

“મારી માતૃભૂમિનો રાજકારોબાર ? હા. એટલે કે સારા માણસોને ડરાવી દબડાવી નાણાં કઢાવનારી અને મારા માતબર બિઝનેસની હિતશત્રુ એક ટોળકી ! તને ખબર છે, છોકરા ? મારા શિર પર અનેક જવાબદારીઓ છે. અનેક વેપારઉદ્યોગનાં મંડળો મારું રક્ષણ માગી રહેલ છે. ને અમારી આસપાસ જાણે વાઘ-દીપડા વીંટળાઈ વળ્યા છે. લોકોને એ વાતોનું ભાન ક્યાં છે ?”

“એટલે – લોકોએ શું કરવું, સાહેબ ?”

“રાજવહીવટમાં રોંચા ખેડૂતોને અને દારૂડિયા મજૂરોને ચૂંટવાને બદલે પ્રામાણિક પ્રતિનિધિઓ ચૂંટવા – કે જેની સાથે કામ પાડી શકાય.”

પલભર શામળ વિચારમાં પડી ગયો. પછી પૂછ્યું : “જેની સાથે કામ પાડી શકાય – પણ કઈ જાતનું કામ પાડવા આપ માગો છો, શેઠજી ?”

“એટલે ! તારો કહેવાનો મર્મ શો છે ?”

“મર્મ એ કે આપ તો એ લોકોની પાસે જઈ, તેઓનાં ગજવાં