પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
154
સત્યની શોધમાં
 

કહી ગયા કે તમે સમાજના સભાસદોની પાસે જઈ જઈ એની બદનક્ષી કરી રહેલ છો !”

“પણ સાહેબ, મેં એવું કર્યું જ નથી. હું તો લીલુભાઈ શેઠને મળવા ગયો હતો. તે સિવાય હા, મેં વિનોદિનીબહેનને આ વાત કરી છે.”

“બસ, એ જ મોકાણ થઈ ને ! વિનોદિનીએ સ્કૂલમાં જઈ પોતાની બહેનપણીને – હરિવલ્લભની દીકરીને કાને ફૂંક્યું. ને પછી એ તો સહુને કહેતી જ ફરે ને ! આમ તો કાલ થશે ત્યાં આખી વસ્તીમાં ફજેતી પ્રસરી જશે.”

“હું દિલગીર છું. મારો એવો ઇરાદો નહોતો.”

“એટલે તમે જુઓ છોને, કે મારે માટે કેવી મુશ્કેલી ઊભી થઈ રહેલ છે ? હવે તો ચોખ્ખી વાત છે. જો તમારે આ બધી અવળચંડાઈ છોડીને આંહીંનાં કામકાજ પર જ બેસી ન જવું હોય, તો પછી સમાજ છોડવો પડશે.”

“સમાજ છોડવો પડશે ?” શામળ ભયભીત આશ્ચર્યથી જોઈ રહ્યો.

“બેશક.”

“પણ સાહેબ, આપને એ હક નથી.”

“હક નથી ? કેમ નથી ?”

“આપ નોકરીમાંથી કાઢી મૂકી શકો, પણ સમાજમાંથી કેમ કાઢી શકો ?”

“હું સમાજનો અધિકારી છું.”

શામળ શાંત રહ્યો, પછી એણે પૂછ્યું : “હરિવલ્લભસાહેબને આપે એના પરના આરોપો સાચા છે કે ખોટા એ પૂછી જોયું ?”

“નહીં જ.”

“એટલી પણ પરવા આપે ન કરી ! ખેર. પણ મેં તો લીલુભાઈને પૂછ્યું. ને એણે એ પાપકૃત્યો કબૂલ કરેલ છે. એણે સાફ કહ્યું છે કે એ તો મૂડીની હરીફાઈ છે. એ તો નાણાં રળવાની રીત છે.”