“એટલે હવે તમે શું કરવા માગો છો ?”
“મને લાગે છે કે મારે એનો ફજેતો કરવો જ પડશે.”
“શામળજી !” ધર્મપાલે બીજો પેચ અજમાવ્યો, “તમને એટલુંય નથી થતું કે મારો તમારા પર અહેસાન છે ? મેં તમને બચાવ્યા, રસ્તે ચડાવ્યા, ને હવે મારા પર જ ભયંકર આફત ઉતારી રહ્યા છો ?”
“ધર્મપાલજી, તમારે માટે હું માથું દેવા તૈયાર છું. પણ આ બાબતમાં તો તમે મને મારા કર્તવ્યથી ભ્રષ્ટ થવા કહી રહ્યા છો, એ શી રીતે કરું ? આપની પાસે હું આવ્યો ત્યારે આપે મને પ્રેમ અને વિશ્વબંધુત્વ વિશે – સ્વાર્પણ અને સેવા વિશે – શિખામણો દીધી. મેં આપના પ્રત્યેક શબ્દમાં ઈતબાર મૂક્યો. ઈશ્વર મારા સાક્ષી છે, કે મેં તો આપે કહ્યું હતું તે જ આચરવા યત્ન કર્યો. મેં ગરીબોને અને પીડિતોને સહાય કરવા મહેનત માંડી. પણ મને શી ખબર કે આપની જીભ પર કંઈક હતું, ને આપના અંતઃકરણમાં બીજું કંઈક હતું ?”
“છોકરા ! તું મારા પર ભંયકર આળ ચડાવે છે. મેં તો હંમેશાં મારાથી બનતું કર્યું છે, કોઈ કોઈ વાર આ બાબત વ્યાખ્યાનો પણ આપ્યાં છે.”
“ના, ના, ના, આપે કદી જ આ શ્રીમંતોને સાફ સત્ય સંભળાવ્યું નથી. બોલો, આપે કદી કહ્યું છે એમને, કે ‘તમે ગરીબોને લૂંટો છો, તમે જ આ શહેરી દુઃખદારિદ્ર્યના કારણભૂત છો, તમારી છાતી પર પાપની ગાંસડીઓના ભાર છે, ને તમારે તૂટેલાં નાણાં પ્રજાને પાછાં વાળવાં જોઈએ – આવું કહ્યું છે કદી આપે ? ના, નથી કહ્યું. એટલે કે ધર્મસમાજ ને પ્રાર્થનામંદિર એનું કર્તવ્ય ચૂકેલ છે. એટલે કે એવા સમાજના ને એવાં મંદિરના પાયા ધોવાય છે, એ પડીને પાદર થશે. ને નવો સમાજ સ્થપાશે - ક્યાંઈક સ્થપાશે, હરકોઈ પ્રકારે સ્થપાશે. ઓ ધર્મપાલ ! આંહીં આ નગરમાં, આપણી નજર સામે, આ શ્રીમંતોની લૂંટણગીરીને પ્રતાપે લોકો ભૂખમરો વેઠે છે, ભૂખમરો ! કંઈ કલ્પના થાય છે ? – કારમો ભૂખમરો.”
“છોકરા, બહુ થયું. તને સમાજમાંથી રુખસદ છે, જા !”