પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
156
સત્યની શોધમાં
 

 શામળની આંખોમાં અશ્રુધારા છૂટી. એણે ઉન્માદવશ બની પૂછયું : “ધર્મપાલજી ! ગુરુજી ! મને ન ફગાવી દો. હું પગે પડું છું.”

“બસ, મારો નિર્ણય બોલાઈ ચૂક્યો છે. જાઓ !”

“પણ આપ વિચારો તો ખરા, આપ આ શું કરી રહ્યા છો ? આપ આપના ખુદ અંતરાત્માને જ ફગાવી રહ્યા છો. આપ સત્યની સામે પીઠ દઈ રહ્યા છો.”

“જાઓ ! ચાલ્યા જાઓ !”

“આપ વિચાર તો કરો ! એનો અર્થ એ કે ધર્મનો, સમાજનો મંદિરનો નાશ થશે. કેમ કે હું નહીં છોડું; હું લડીશ, ભવાડો કરીશ, ને હું જ જીતીશ, કેમ કે મારે પક્ષે સત્ય છે, ને આપ સત્યને ફગાવી દો છો.”

“જાઓ ! જાઓ ! જાઓ, કહું છું.”

ધ્રુસકે ધ્રુસકે રડતો શામળ બહાર નીકળ્યો.

ઝાડમાંથી છેદાયેલી ડાળખી પણ થોડી વાર લીલી રહે છે. એ લીલાશમાં એનો તરફડાટ છે. એ ચીમળાય છે ત્યારે વેદનાની અકળ મૂંગી ચીસો પાડે છે.

એ રાત્રિના અંધકારમાં શામળ જ્યારે પોતાના પ્રિય માનેલા ધર્મમાંથી ને મંદિરમાંથી ધકેલાઈ ગયો, ત્યારે એને પણ અસહ્ય યાતના ચાલુ થઈ. પોતે સમાજમાંથી છેદાઈને છૂટો પડ્યો છે એ વાત એને સાચી જ નહોતી ભાસતી. એ પાછો મંદિરની સામે આવ્યો, ધ્રુસકે ધ્રુસકે રડતો એના સામે તાકીને બેઠો.

રાતના શિકારી પક્ષી જેવી એક મોટર આવીને મંદિરને દરવાજે અટકી, અંદરથી એક પુરુષ નીકળીને બૂટ ચમચમાવતો મંદિરમાં પેઠો. એ હતા લીલુભાઈ શેઠ. ઓળખાતાંની વાર જ શામળને ગાલે જાણે એક સખ્ત તમાચો પડ્યો : સમાજનો ચોર આ મદોન્મત્ત સમૃદ્ધિપતિ, કશી સજા પામ્યા વગર, દુનિયાને પડકાર દેતો ધર્મને અધિકારપદે બેઠો છે, ને હું શામળ, હું ગરીબ સત્યશોધક બહાર ધકેલાયો છું.