પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
162
સત્યની શોધમાં
 

“શામળજી ! આપણે તો નાનકડાં બે નાદાન બાળકોની રમત માંડી’તી. આપણાથી હવે આમ ન વર્તાય.”

શામળ ફરી એક વાર સ્તબ્ધ બની થીજી ગયો.

“તમે મારા આચરણનો આવો ગંભીર અર્થ લીધો હશે એ તો મને સ્વપ્નેય ખ્યાલ નહીં, શામળજી ! તમે મને અન્યાય કર્યો છે.”

“ત્યારે – ત્યારે તો તમે મને કદી ચાહતાં જ નહોતાં !” બોલતાં બોલતાં શામળનો શ્વાસ ખૂટ્યો.

“એ તો – હા કદાચ – પણ એ તો હું શી રીતે કહી શકું ?” વિનોદિનીની જીભમાં લોચા વળ્યા, “પરંતુ કોઈ ચાહતું હોય, એનો અર્થ એવો નહીં કે એ પરણી જ બેસે. સમજ્યા શામળજી ?”

શામળના મોંમાં શબ્દ ન રહ્યો. એની આંખો ફાટી રહી. વિનોદિનીએ વધુ સ્પષ્ટ કર્યું : “હું તો સમજતી હતી કે આપણે પરસ્પર આનંદ કરીએ છીએ. ને મેં માનેલું કે તમે પણ એ રીતે સમજતા હતા. હવે મને લાગે છે કે એ બધું ડહાપણભર્યું નહોતું –”

“પરસ્પર આનંદ કરતાં હતાં !” શામળના કંઠમાં શ્વાસ નહોતો.

“તમને તો શામળજી, હરેક વાતમાં ગંભીર ભાવ જ લેવાની ટેવ છે. તમને આવો કશો જ અર્થ બેસારવાનો અધિકાર –”

“વિનોદિની !” પોતાને ખંજર મારીને જખમમાં કોઈએ મીઠું છાંટ્યું હોય તેવી બળતરા સાથે શામળ બોલી ઊઠ્યો, “તમે જાણો છો? –”

ધ્રુજતે સ્વરે વિનોદિની બોલી : “શામળજી, હું તો હેરત પામી ગઈ છું. મને આવી વાતનો ખ્યાલ જ નહોતો. હું ભુલાવામાં પડી ગઈ. હવે તો અતિ મોડું થતાં પહેલાં આ વાતની સમાપ્તિ જ થવી જોઈએ.”

“પણ હું – હું તમને ચાહું છું, વિનોદિની !” શામળ અર્ધબેભાન બનીને બોલી ગયો.

“બરાબર – અને એ તમારી ભલાઈ છે. પણ કેટલીક બાબતો તમારે ન ભૂલવી જોઈએ, શામળજી !”

“તમે ! તમે વિનોદિની ! તમે જ મારામાં એ ભાવ, એ વિચાર