પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમહક્ક સમાજ
177
 

ઉઠાવી જ લેવો જોઈએ, અમારી થીજી ગયેલ પ્રવૃત્તિમાં આથી નવો અગ્નિ ચેતાશે.”

“પણ હું તમારા સમાજનો નથી.”

“ફિકર નહીં. તમે ગમે ત્યાંના હો, અમને એની પરવા નથી. અમારે ‘લેબલ’નો આગ્રહ નથી.”

શામળના કહેવાનો મર્મ જુદો હતો. પણ એ ન સમજાવી શક્યો. આખું તંત્ર હજારીલાલજી ત્વરાથી ગોઠવવા લાગ્યા.

“કાલે રાતે જ મિટિંગ બોલાવું છું. સમય ગુમાવવા જેવું નથી. આપણે આખા ગામમાં નિમંત્રણ-પત્રો પાથરી દેવાં છે.”

“પણ મારે તો માત્ર અમારા સંઘના જ લોકોની જરૂર હતી.”

“બીજાઓ પણ છોને આવે. પોતે કેવી રીતે લૂંટાઈ રહેલ છે એ જાણવાનો તો તમામ લોકોને હક્ક છે ના ?”

“હા, એ તો છે.”

“વળી કદાચ તમારા સંઘના ઉપર બહારના લોકોનું દબાણ આવશે તો કંઈક ચોક્કસ પગલું પણ જલદી લેવાશે. પરંતુ જુઓ ભાઈ, આ નાના પ્રશ્નમાંથી આપણે તો વાણીસ્વાતંત્રના પ્રશ્નને ખડો કરવો પડશે, નહીંતર તો વિરોધીઓ આખી વાતને મૂળમાંથી જ છેદી નખાવી શું હતું તેની ખબર પણ નહીં પડવા આપે.”

“પણ વિજ્ઞપ્તિપત્રો શી રીતે છાપીને વહેંચશું ?”

“તેની ચિંતા નહીં,” હજારીલાલે હસીને કહ્યું, “અમારા સમાજમાં એનો બંદોબસ્ત કરનારા બંધુઓ પડ્યા છે. ચાહે તે જોખમે છાપનારા પણ છે.”

શામળે સંતોષનો નિઃશ્વાસ મૂક્યો. એણે એક મક્કમ વિચારના અને સ્વચ્છ દૃષ્ટિના કર્તવ્યશીલ શાણા આદમીને નીરખ્યો. અફસોસ એટલો જ કે એ ‘અધર્મી સમાજ’નો અનુયાયી હતો !

હજારીલાલે એક મુસદ્દો ઘડી કાઢ્યો; વાંચી બતાવ્યો :