પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
178
સત્યની શોધમાં
 

લક્ષ્મીનગરનાં પ્રજાજનો !

વિશ્વબંધુસમાજની કમિટી શહેર-શાસનમાં રુશવતો ખવરાવે છે એ વાતનો મને પત્તો મળતાં મેં એની તપાસ માટે કમિટી પાસે માગણી કરી, પરિણામે મને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

મેં એ બધું જાહેર કરવા સારુ સંઘસમસ્તની સભા બોલાવી, પણ પોલીસે મને શહેરમાં કોઈપણ ઠેકાણે ભાષણ કરવાની મનાઈ ફરમાવી છે.

તમે મારા પડખે ઊભાં રહેશો ? હું બુધવારની રાત્રે 8 વાગ્યે અમારા મંદિરની સામેના ઉઘાડા ચોકમાં બોલવાનો છું.

વાણીસ્વાતંત્ર અને નગરશુદ્ધિને નામે વીનવનાર
 

શામળજી રૂપજી.
 

“કેમ લાગે છે ?”

“ફક્કડ” શામળે હર્ષોદ્‌ગાર કાઢ્યો.

“હવે એની તમામ વિધિ મારે શિર છે. એ બધું વખતસર થઈ રહેશે. ચાલો, હવે તમને મારા થોડાએક બંધુઓની ઓળખાણ કરાવું.”

ઘોડીવાળા લંગડાભાઈ ‘હું હવે રજા લઈશ’ એટલું કહી, નકામી વિવેકવિધિ કર્યા વિના, હજારીલાલની સૂચના લઈ ચાલી નીકળ્યા. શામળને લઈને આ જુવાન વકીલ નજીકમાં એક બીડીનું નાનું કારખાનું હતું ત્યાં ગયો.

“ક્યાં છે ઘુસાભાઈ ?” એટલું પૂછતાં તો પછવાડેના કાતરિયામાંથી 60 વરસનો ડોસો બીડી વાળતો વાળતો બહાર આવ્યો. એની એક આંખ રેલવેનું એન્જિન હાંકતાં હાંકતાં તણખો પડવાથી ફૂટી ગયેલી, એટલે એને આંહીં બીડીઓ વાળવા બેસવું પડેલું.

“ઘુસાભાઈ,” વકીલે ઓળખાણ કરાવી, “આ આપણા શામળભાઈ છે”. બધી વાત કરી. ઘુસાભાઈએ વધુ કશું જ ન બોલતાં અત્યંત હેતથી શામળના હાથ દબાવ્યા.

એ રીતે નજીકમાં ભજિયાંવાળા ધનાભાઈને મળ્યા. ધનાભાઈને ટપાલખાતામાં ખર્ચનો ઘટાડો થયો તેમાં ચાલીસ વર્ષની ઉંમરે રજા મળેલી.