પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમહક્ક સમાજ
179
 

તે પછી એક કંકુબહેન મળ્યાં. કંકુબહેનને મૂકી એનો વર નાસી ગયેલો. કંકુબહેન બે-ચાર દુકાનોમાં પાણી ભરતાં હતાં.

આમ ‘સમહક્ક સમાજ’ના આ મહત્ત્વના સભાસદો – જાફરભાઈ લોટિયા વહોરા, લોટની ઘંટી હાંકનાર કોળી ગણેશાભાઈ, દુદાભાઈ ધોબી વગેરે દસેક જણાનું મંડળ બાજુમાં આવેલા ડૉક્ટર દામજીભાઈના, દવાખાને ભેળું થયું. દામજીભાઈ અંત્યજ કોમના હતા, એટલે એમને શહેરના ઉચ્ચ લત્તાઓમાં કોઈએ દુકાન ભાડે નહીં આપેલી. એમના હસમુખાં ને મીઠાબોલાં પત્ની રૂડીબહેન પણ સાથે રહી નર્સ-મિડવાઈફનું કામ કરતાં.

સહુએ શાંતિથી હજારીલાલને મોંએથી શામળભાઈની બહુવતી સાંભળી. શામળ જોતો હતો કે આ કંગાળ, ચીંથરેહાલ અને ઉપરથી તદ્દન અસંસ્કારી અણઘડ દેખાતું મંડળ આખી કથાને બહુ ટૂંકમાં સમજી શક્યું. સહુની કને જાણે કે કશીક ચાવીઓ હતી, કે જેથી પ્રસંગના સંજોગો, ઉકેલ વગેરે ચપોચપ તેઓને સમજમાં ઊતરી જતા હતા.

સહુએ આખા સાહસ પ્રતિ હસીને આદર બતાવ્યો. જરીકે ડંફાસ કે વાણીપટુતાનો વ્યય કોઈએ ન કર્યો. થોડાક કલાક પહેલાં એકાકી અને અસહાય થઈ પડેલ શામળને માટે જાણે કે ધરતીમાંથી કોઈ ગેબી મદદગારો નીકળી પડ્યા.

શામળ તો કંકુબહેન અને રૂડીબહેનના તરફ જ તાકી રહ્યો હતો. એના અંતરમાં આ અધર્મી સમાજની સ્ત્રીઓને માટે અણઉકેલ સમસ્યા રમી રહી હતી; બીજી બાજુથી રૂડીબહેનની મુખમુદ્રામાં શામળને પોતાની મરી ગયેલી માતાના મુખની રેખાઓ દેખાતી હતી.

પાછો જ્યારે એ હજારીલાલજીની ઑફિસે આવ્યો ત્યારે એના મોં પરની વ્યગ્રતા દેખીને વકીલે પૂછ્યું : “તમને શું થાય છે ?”

શામળે પૂછ્યું : “તમારા સમાજમાં સ્ત્રી અને પુરુષનાં કોઈ બંધનો જ નથી, ગમે તેની સાથે સહચાર કરી શકે, એ સાચું ? રૂડીબહેન એવાં કેમ હોઈ શકે ?”