શોધ થઈ. એટલે માણસો કમી કરવા પડ્યા.”
“પણ એ કમી થયેલાએ કરવું શું ?”
“બીજા ધંધામાં જવું.”
“પણ કાપડની મિલોય અડધા દા’ડાનું કામ કરે છે.”
“હા. મિલોય વધી પડી છે.”
“પણ એમ તો સરવાળે બધું જ વધી પડશે.”
“જો, ભાઈ શામળ !” પ્રોફેસરે શામળને આ આખા પ્રશ્નમાં રસ લેતો દેખીને જરા ઊંડાણ ભેદવા માંડ્યું, “સાચી વાત એ છે કે માણસો બહુ વધી પડ્યા છે. દુનિયામાં માણસોની ભીડાભીડ થઈ પડી છે.”
શામળના અંતઃકરણ પર કોઈ ભીષણ પડછાયો પડ્યો. પ્રોફેસરે જ્ઞાનનો દીવો તેજ કરવા માંડ્યો :
“અમારા એક મહાન તત્ત્વદર્શી – નામે માલ્થસ – થઈ ગયા. એ કહી ગયા છે કે અનાજની નીપજ કરતાં હમેશાં લોકસંખ્યાનું પ્રમાણ વધતું જ જવાનું. એટલે એ વધારાના લોકોને ખેસવવા જ રહ્યા.”
“એ તો જુલમ કહેવાય.”
“હા, વ્યકિત પરત્વે જુલમ; પણ આખી પ્રજાનું – માનવજાતિનું – તો એમાં શ્રેય જ રહેલું છે. જીવનનો એ જ ક્રમ છે.”
શામળ જાણે કે આ ગહનતાને સમજવા તલસતો હતો. પ્રોફેસરે સ્પષ્ટીકરણ કર્યું :
“જોને ભાઈ, કુદરત શું કરે છે ? અપરંપાર જીવોને જન્માવે છે. માછલી લાખો ઇંડાં મૂકે. ચોમાસે લાખો લીલા રોપ ફૂટી નીકળે. પણ પછી ? મોટાં થાય ત્યારે તો જીવવા લાયક હોય તેટલાં જૂજ જ જીવે, બાકીનાં ખતમ થઈ જાય. એમ જ સમજવું માનવીનું. જન્મે લાખો, પણ લાયક હોય તેટલા જ જીવે. મરે છે તેની તો સમગ્ર જાતિના શ્રેય ખાતર પવિત્ર આહુતિ જ અપાય છે ને, ભાઈ ! કમજોરોને જીવવાનો હક પણ શો ?”
પ્રોફેસર ખીલી ઊઠ્યા છે. એ જ્ઞાનધારા સામે શામળ આભો