પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન
37
 

શોધ થઈ. એટલે માણસો કમી કરવા પડ્યા.”

“પણ એ કમી થયેલાએ કરવું શું ?”

“બીજા ધંધામાં જવું.”

“પણ કાપડની મિલોય અડધા દા’ડાનું કામ કરે છે.”

“હા. મિલોય વધી પડી છે.”

“પણ એમ તો સરવાળે બધું જ વધી પડશે.”

“જો, ભાઈ શામળ !” પ્રોફેસરે શામળને આ આખા પ્રશ્નમાં રસ લેતો દેખીને જરા ઊંડાણ ભેદવા માંડ્યું, “સાચી વાત એ છે કે માણસો બહુ વધી પડ્યા છે. દુનિયામાં માણસોની ભીડાભીડ થઈ પડી છે.”

શામળના અંતઃકરણ પર કોઈ ભીષણ પડછાયો પડ્યો. પ્રોફેસરે જ્ઞાનનો દીવો તેજ કરવા માંડ્યો :

“અમારા એક મહાન તત્ત્વદર્શી – નામે માલ્થસ – થઈ ગયા. એ કહી ગયા છે કે અનાજની નીપજ કરતાં હમેશાં લોકસંખ્યાનું પ્રમાણ વધતું જ જવાનું. એટલે એ વધારાના લોકોને ખેસવવા જ રહ્યા.”

“એ તો જુલમ કહેવાય.”

“હા, વ્યકિત પરત્વે જુલમ; પણ આખી પ્રજાનું – માનવજાતિનું – તો એમાં શ્રેય જ રહેલું છે. જીવનનો એ જ ક્રમ છે.”

શામળ જાણે કે આ ગહનતાને સમજવા તલસતો હતો. પ્રોફેસરે સ્પષ્ટીકરણ કર્યું :

“જોને ભાઈ, કુદરત શું કરે છે ? અપરંપાર જીવોને જન્માવે છે. માછલી લાખો ઇંડાં મૂકે. ચોમાસે લાખો લીલા રોપ ફૂટી નીકળે. પણ પછી ? મોટાં થાય ત્યારે તો જીવવા લાયક હોય તેટલાં જૂજ જ જીવે, બાકીનાં ખતમ થઈ જાય. એમ જ સમજવું માનવીનું. જન્મે લાખો, પણ લાયક હોય તેટલા જ જીવે. મરે છે તેની તો સમગ્ર જાતિના શ્રેય ખાતર પવિત્ર આહુતિ જ અપાય છે ને, ભાઈ ! કમજોરોને જીવવાનો હક પણ શો ?”

પ્રોફેસર ખીલી ઊઠ્યા છે. એ જ્ઞાનધારા સામે શામળ આભો