પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
62
સત્યની શોધમાં
 


અર્ધી રાત થઈ ગઈ. નોકરચાકરો ઢળી પડ્યા નિદ્રાના ઘેનમાં. સર્વ શોર શમી ગયા. ગાજે છે કેવળ મહેમાનોની જ મહેફિલ. જ્યોતો પણ ફક્ત ત્યાંની જ ઝગારા કરતી જલે છે.

શામળ જાગ્રત હતો. એ લપાઈને ઉપર ચડ્યો; એક બારણાની આડશેથી તમાશો સાંભળવા લાગ્યો.

સાંભળી સાંભળીને એના કલેજામાં કટારો ભોંકાઈ ગઈ. એણે એક સ્ત્રીની વેધક ચીસો સાંભળી : “નહીં જાઉં – નહીં જાઉં !!”

“જા કહું છું, દૂર થા અહીંથી !” એ સામો પુરુષ-સ્વર સંભળાયો. એ તો દિત્તુભાઈનો જ કંઠ.

બીજાઓને હસતાં સાંભળ્યાં.

કશોક કજિયો સળગ્યો છે. ન સાંભળ્યાં જાય તેવાં વચનો નીકળે છે. શામળ સ્તબ્ધ બની જાય છે.

જોરથી એ ભોજન-ગૃહનું પાછલું દ્વાર ઊઘડ્યું, “જા, ચાલી જા, રંડા !” એ અવાજ સાથે જાણે શામળના શેઠે કોઈ સ્ત્રીને બહાર ધકેલી. છાતી ફાટ આક્રંદ કરતી, પાછી અંદર જવા તરફડિયાં મારતી, શેઠની લાતો ને ગાળો ખાતી એ કોણ બહાર પટકાઈ ?

શામળે ઓળખી : ગૌર-ગુલાબી વર્ણગૂંથણીવાળી, દિત્તુભાઈના કંઠમાં ભુજાઓ રોપનારી રૂપરૂપનો અવતાર પેલી મૃણાલિની. એના કેશ પીંખાયેલા હતા. એના મોં પર મીટ ન માંડી જાય તેવી મુદ્રા હતી. એ બહાર ધકેલાઈ. અંદરથી દ્વાર બંધ થયું. એણે કમાડ પર મરણિયા આઘાતો કર્યા. એનો વિલાપ છાતી ફાટે તેવો હતો.

અંદર દિત્તુભાઈ નવી પ્રેયસીના સંગમાં ગુલતાન કરે છે.

થોડી વાર ઊઘડેલા એ બારણામાં શામળે ઠીક ઠીક દેખ્યું.