પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
66
સત્યની શોધમાં
 

અહીં પોપટ પઢાવીને મોકલ્યો છે કે ?”

“એણે વિગતવાર કશું નથી કહ્યું. પણ –”

“પણ-બણ છોડી દે, શામળ – એ વાતમાં કશો માલ નથી. એ રંડાને તો મારા જેવા ચાર પ્રેમિકો હતા.”

શામળે થોડી વાર મૌન ધાર્યું, પછી કહ્યું : “તે છતાં આપે એક વાર એને વચન આપી એનું કાંડું ઝાલ્યું. હવે એને રસ્તે રઝળતી ને ભૂખે મરતી કેમ કરાય ?”

“શામળ ! તારા ભેજામાં આવું ભૂસું કોણે ભર્યું છે ? વારુ, હું એને નાણાં પૂરવાની ક્યાં ના કહું છું ? એ જ જો વાત હોય તો તો કશો સવાલ નથી. તને એણે એ કહ્યું છે ?”

“ના-ના. પણ દિત્તુભાઈસાહેબ ! શેઠસાહેબ ! એ આપને ઝંખે છે.”

“હાં, આપદા જ એ છે ને ! એ મને કાચની બરણીમાં પૂરીને ઉપર ડાટો દેવા માગે છે. પણ હું એનાથી કંટાળી ગયો છું. હવે એ મને દીઠી પણ ગમતી નથી.”

શામળે આ દુનિયાના સમર્થ, શક્તિવાન, વિજયી લક્ષ્મીપતિની અંદરની વિભૂતિનું દર્શન એ બે વાક્યોમાં કરી લીધું. એનાથી કંટાળી ગયો છું ! મને એ દીઠી ગમતી નથી ! ભોગવી ભોગવીને સૌંદર્ય શોષી લીધા પછી આ દૈત્ય એક કુમારિકાના કલેવરને ફેંકી દેતો હતો.

થોડી વાર શાંતિ ટકી. પછી દિત્તુભાઈ બોલ્યા: “શામળ !”

“જી.”

“તું પોતે જ એને ન પરણી લે ?”

શામળ ચમકી ઊઠ્યો. કોઈએ જાણે એને સૂતેલાને સોટો લગાવ્યો. દિત્તુ શેઠ આગળ વધ્યા : “શામળ ! તું એને પરણી લે. હું તને આંહીં નાનું એક બિઝનેસ ખોલાવી દઈશ. તને હંમેશનો આરામ થઈ જશે.”

“શેઠસાહેબ ! દિત્તુભાઈ !” શામળના કંઠમાંથી શ્વાસ ખૂટ્યો.

“સાચે જ, શામળ ! એ રૂપાળી છે. જરા મસ્તીખોર છે. પણ તને બરાબર ફાવશે.”